અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારતની મુલાકાત લઈ શકે છે. ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે સોમવારે નવી દિલ્હીમાં પોતાનો કાર્યભાર સંભાળતી વખતે આ સંકેત આપ્યો હતો. તેણે માત્ર ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની ‘સાચી મિત્રતા’નો જ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ વ્હાઇટ હાઉસની અંદરની કેટલીક રસપ્રદ વાતો પણ શેર કરી છે.
સર્જિયો ગોરે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણીવાર તેમની અગાઉની ભારત મુલાકાતને યાદ કરે છે અને આગામી એક કે બે વર્ષમાં ફરીથી ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પને અહીં તેમની છેલ્લી મુલાકાત યાદ છે. હું ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ સાથે હતો અને જ્યારે અમે નવા વર્ષ પછી રાત્રિભોજન કર્યું ત્યારે તેમણે અહીં આવવાના તેમના અદ્ભુત અનુભવ અને ભારતના મહાન વડા પ્રધાન, વડા પ્રધાન મોદી સાથેની તેમની ગાઢ મિત્રતા વિશે વાત કરી. હું એ પણ આશા રાખું છું કે રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં અમારી મુલાકાત લેશે, આશા છે કે આગામી એક-બે વર્ષમાં.
‘અમે મિત્રો છીએ, તેથી અમે અમારા મતભેદોને ઉકેલીશું’
રાજદૂત ગોરે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર અને ટેરિફ વિવાદો પર પણ નિખાલસતાથી વાત કરી હતી. તેમણે કહ્યું, “મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આખી દુનિયાનો પ્રવાસ કર્યો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે વડાપ્રધાન મોદી સાથેની તેમની મિત્રતા ‘વાસ્તવિક’ છે. સાચા મિત્રોમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ તેઓ અંતમાં પોતાના મતભેદોને ઉકેલે છે.”
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી અને ટેરિફને લઈને થોડી ખેંચતાણ ચાલી રહી છે. ગોરે ખાતરી આપી હતી કે બંને દેશો આ મુદ્દાઓને ઉકેલવા માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસની ‘ઇનસાઇડ સ્ટોરી’, સવારે 2 વાગ્યે ફોન આવ્યો
એમ્બેસેડરે ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધોની ઊંડાઈ દર્શાવવા માટે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે કહ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પને રાત્રે 2 વાગ્યે ફોન કરવાની આદત છે. અને નવી દિલ્હીના સમયના તફાવતને જોતાં, આ આદત ભારત સાથેના સંબંધોમાં સારી રીતે બંધબેસે છે.

