વિરાટ કોહલી અને રોહિત શર્માના શાનદાર ફોર્મે કેટલાક મહત્વના ખેલાડીઓની ઈજાને લઈને ટીમ ઈન્ડિયાની વધી રહેલી ચિંતાઓને અમુક અંશે ઓછી કરી છે. ટીમ ઈન્ડિયા 14 જાન્યુઆરી, બુધવારના રોજ રાજકોટમાં રમાનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે.વડોદરામાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. વોશિંગ્ટન સુંદર તે મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેની પહેલા ઋષભ પંત ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પસંદગીકારોએ ટીમમાં દિલ્હીના આયુષ બદોનીનો સમાવેશ કર્યો છે, પરંતુ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવાની રણનીતિને ધ્યાનમાં રાખીને નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં અન્ય ઓલરાઉન્ડરને અંતિમ અગિયારમાં સામેલ કરી શકાય છે. ઋષભ પંત પ્રથમ વનડે પહેલા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પસંદગીકારોએ તેની જગ્યાએ ધ્રુવ જુરેલને લેવાનો નિર્ણય કર્યો, જે ટીમ મેનેજમેન્ટ માટે નિષ્ણાત બેટ્સમેન તરીકે અન્ય વિકલ્પ બની શકે છે. ભારતીય ટીમ પાસે ઘણા વિકલ્પો છે, પરંતુ આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તે કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું પસંદ કરશે નહીં. T20 ટીમમાં ODI ટીમથી સંપૂર્ણપણે અલગ બેટિંગ ઓર્ડર હશે, પરંતુ બંને ટીમોમાં કેટલાક નામ સામાન્ય છે. આમાં સૌથી મહત્ત્વનું નામ છે ઓલરાઉન્ડર તિલક વર્માનું, જે ગ્રોઈનમાં ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ ટી20 મેચમાં રમી શકશે નહીં. ભારતીય ટીમની આ ચિંતાઓ વચ્ચે તમામની નજર કોહલી અને રોહિત શર્મા પર રહેશે, જેઓ પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં પણ મજબૂત ક્રિકેટ રમી રહ્યા છે. પ્રથમ મેચમાં કોહલી ODIમાં તેની 54મી સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની 91 બોલમાં 93 રનની ઈનિંગે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ઘણો તફાવત છે. કિવી ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત નથી અને ભારતીય બેટ્સમેનો તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. પ્રથમ મેચમાં, કેપ્ટન શુભમન ગીલે મજબૂત અડધી સદી ફટકારી હતી, જ્યારે વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર એક રનથી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. રોહિત શર્મા ફરીથી ભારતને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે. કોહલી આ વખતે અલગ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છે અને તે આત્મવિશ્વાસથી ભરેલો દેખાઈ રહ્યો છે. એવું લાગે છે કે તે અપેક્ષાઓ અને ટીકાના ભારથી સંપૂર્ણપણે મુક્ત છે. શરૂઆતથી જ કોહલીએ ન તો આક્રમક બેટિંગ કરવાનું ટાળ્યું કે ન તો રન બનાવવાની કોઈ તક છોડી. તેથી જ તેણે વડોદરામાં તમામ ફોર્મેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 28,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, ભારતે તેની બોલિંગ, ખાસ કરીને સ્પિનરોનું પ્રદર્શન સુધારવાની જરૂર છે. છેલ્લી મેચમાં, ઝડપી બોલરોએ બોલની ઝડપ ઘટાડવાની તેમની વ્યૂહરચનાથી કેટલીક વિકેટો મેળવી હતી અને સ્પિનરો નિરંજન શાહ સ્ટેડિયમમાં સારી પિચની આશા રાખશે. પ્રથમ વનડેમાં હાર છતાં ન્યૂઝીલેન્ડને એ વાતથી ઘણો આત્મવિશ્વાસ મળ્યો હશે કે કોહલીના શાનદાર પ્રદર્શન છતાં તેણે ભારતને જોરદાર ટક્કર આપી. ભારત જ્યારે આસાનીથી લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે કાયલ જેમિસને પોતાની બોલિંગ કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. તેની ટીમને છેલ્લી ક્ષણોમાં કેચ છોડવાનો માર સહન કરવો પડ્યો હતો. ડાબોડી બેટ્સમેન ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે પ્રથમ વિકેટ માટે 117 રન જોડીને ન્યૂઝીલેન્ડને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તેના મધ્યમ ક્રમના બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. તેમની ટીમ આ વિભાગને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ટીમો નીચે મુજબ છે.
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, આયુષ બદોની, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને યશસ્વી જાસવ
ન્યુઝીલેન્ડ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે (wk), મિશેલ હે (wk), નિક કેલી, હેનરી નિકોલ્સ, વિલ યંગ, જોશ ક્લાર્કસન, જેક ફોવલ્સ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, આદિત્ય અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાયલ જેમિસન, જેડેન લેનોક્સ, માઈકલ રેનોક્સ.
