તહેવારો દરમિયાન હવાઈ ભાડાંમાં અતિશય વધારા અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે તે ‘અનપેક્ષિત વધઘટ’ સામે આ મામલે હસ્તક્ષેપ કરશે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક પીઆઈએલની સુનાવણી કરતા એરલાઈન્સ દ્વારા હવાઈ ભાડામાં અતિશય વધારાને ‘શોષણ’ ગણાવ્યું હતું અને કેન્દ્ર સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને તેમનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. પિટિશનમાં ખાનગી એરલાઇન્સના હવાઈ ભાડાં અને અન્ય ચાર્જિસમાં અણધારી વધઘટને નિયંત્રિત કરવા માટે નિયમનકારી માર્ગદર્શિકાને બંધનકર્તા બનાવવાની વિનંતી કરવામાં આવી છે.
બેન્ચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકને કહ્યું, ‘અમે ચોક્કસપણે દરમિયાનગીરી કરીશું. કુંભ અને અન્ય તહેવારો દરમિયાન મુસાફરોનું શોષણ જરા જુઓ. દિલ્હીથી પ્રયાગરાજ અને જોધપુરના ભાડા જુઓ. જસ્ટિસ મહેતાએ હળવાશભર્યા સ્વરમાં કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે અમદાવાદના હવાઈ ભાડામાં ભલે વધારો ન થયો હોય, પરંતુ જોધપુર જેવા અન્ય સ્થળોના ભાડામાં ભારે વધારો થયો છે.
કૌશિકે પોતાનો જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર પાસે સમય માંગ્યા પછી, સર્વોચ્ચ અદાલતે આ મામલે વધુ સુનાવણી માટે 23 ફેબ્રુઆરીની તારીખ રાખી હતી.
ગયા વર્ષે 17 નવેમ્બરના રોજ, સર્વોચ્ચ અદાલતે સામાજિક કાર્યકર્તા એસ લક્ષ્મીનારાયણની અરજી પર કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો હતો, જેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરતા મજબૂત અને સ્વતંત્ર નિયમનકારની સ્થાપનાની વિનંતી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નોટિસ જારી કરીને અરજી પર જવાબ માંગ્યો છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમામ ખાનગી એરલાઈન્સે કોઈપણ નક્કર કારણ વગર ‘ઈકોનોમી ક્લાસ’ના મુસાફરો માટે મફત ‘ચેક-ઈન બેગેજ’ 25 કિલોથી ઘટાડીને 15 કિલો કરી દીધું છે, ‘જે અગાઉ ટિકિટિંગ સેવાનો એક ભાગ હતો તેને આવકના નવા સ્ત્રોતમાં રૂપાંતરિત કર્યો છે.’

