પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નેતાજીની જન્મજયંતિના બહાને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી અને બીઆર આંબેડકર જેવા રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે પરાક્રમ દિવસ પર કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, મુખ્યમંત્રી બેનર્જીએ કેન્દ્રમાં સત્તા પર રહેલા લોકો પર દેશના ઇતિહાસને વિકૃત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો.
કાર્યક્રમને સંબોધતા મમતાએ કહ્યું, “ભારતના ઈતિહાસને વિકૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કે બાબાસાહેબ આંબેડકર હોય, સંતો અને મહાપુરુષોનું અપમાન થઈ રહ્યું છે. અસહિષ્ણુતા, વાંધાજનક ટિપ્પણીઓ, કૃતઘ્નતા અને ભાષા પ્રત્યેનો અનાદર વધી રહ્યો છે?” તેમણે ભાજપ પર ઈતિહાસને વિકૃત કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે દેશની ધરોહર, સંસ્કૃતિ અને બંધારણ પર સતત હુમલા થઈ રહ્યા છે.
‘દિલ્હી ષડયંત્રોનું શહેર બની ગયું છે’
નેતાજીના પ્રખ્યાત સૂત્ર ‘દિલ્લી ચલો’નો ઉલ્લેખ કરીને મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજની ‘દિલ્હી’ બંગાળ વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું, “આજે દિલ્હી ‘ચક્રાંતનગરી’ બની ગઈ છે. તે હંમેશા બંગાળ વિરુદ્ધ કાવતરું કરે છે. અમે અમારી ભાષા, સંસ્કૃતિ અને ઓળખની રક્ષા માટે એક થઈશું.” તેમણે બોઝની આઝાદ હિંદ ફોજને બિનસાંપ્રદાયિકતા અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું.
નેતાજીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રજા કેમ નથી?
મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો હતો કે નેતાજી જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીની જન્મજયંતિને હજુ સુધી રાષ્ટ્રીય રજા કેમ જાહેર કરવામાં આવી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સ્વતંત્રતા સેનાનીઓના સપના તોડી રહી છે. તેમણે કહ્યું, “નેતાજીથી લઈને સરદાર પટેલ સુધી, સ્વતંત્ર ભારતનું સપનું જોનારાઓના સપના આજે ચકનાચૂર થઈ રહ્યા છે. એક એવો ઈતિહાસ થોપવામાં આવી રહ્યો છે જેને આપણા દેશના વાસ્તવિક ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે “બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે. લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે. લોકશાહી છીનવાઈ રહી છે.”

