સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના લોકોને મોટું વચન આપ્યું છે. શુક્રવારે તેમણે કહ્યું કે જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો સબરીમાલા ગોલ્ડ કેસની તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમણે વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી.
પીએમ મોદીએ કહ્યું, ‘આખા દેશમાં આપણે બધા ભગવાન અયપ્પામાં અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ. જોકે, LDF સરકારે સબરીમાલા મંદિરની પરંપરાઓને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. હવે અહીંથી સોનાની ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. દેવતાની નજીકના મંદિરમાંથી સોનાની ચોરી થઈ હોવાના અહેવાલો છે. હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે અહી ભાજપની સરકાર બનતાની સાથે જ આ આરોપોની ઉંડાણપૂર્વક તપાસ થશે અને ગુનેગારો જેલમાં હશે.
સબરીમાલા મુદ્દે રાજકીય તોફાન
વડાપ્રધાનની આ ટિપ્પણી સબરીમાલા સોનાની ચોરીના મામલાના વિવાદ વચ્ચે આવી છે, જે રાજકીય તોફાનમાં ફેરવાઈ ગઈ છે. આ કેસ મંદિરના ગર્ભગૃહના દરવાજાની ફ્રેમ અને રક્ષક મૂર્તિઓને આવરી લેતી પ્લેટોમાંથી સોનાની ઉચાપત સાથે સંબંધિત છે. હાલમાં કેરળ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, જે રાજ્ય હાઈકોર્ટના આદેશ પર કામ કરી રહી છે.
પીએમ મોદીએ દાવો કર્યો હતો કે દાયકાઓથી એલડીએફ અને યુડીએફ બંનેએ તિરુવનંતપુરમની અવગણના કરી છે, જેના કારણે શહેર પાયાની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વંચિત છે. તેમણે કહ્યું, ‘ડાબેરીઓ અને કોંગ્રેસ આપણા લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં સતત નિષ્ફળ રહ્યા છે. જો કે, અમારી ભાજપની ટીમે તિરુવનંતપુરમના વિકાસ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. હું શહેરના લોકોને કહેવા માંગુ છું – વિશ્વાસ રાખો, લાંબા સમયથી રાહ જોવાતું પરિવર્તન આખરે આવી રહ્યું છે.

