મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હતા. હવે આ ઘટનાના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ નવા વિડિયોમાં પ્લેન ક્રેશ પહેલાનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન પહેલા એક તરફ નમતું જાય છે અને થોડી વાર પછી ક્રેશ થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈટમાં અજિત પવારની સાથે એક સુરક્ષાકર્મી, બે પાઈલટ અને એક મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટ પણ હતી.
અકસ્માત બાદ અજિત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ પાસેના વિસ્તારમાં પડ્યું હોવાની માહિતી મળી હતી. લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટનો કંટ્રોલ ખોવાઈ ગયો હતો. વાયરલ વિડીયો જોયા બાદ પણ એવું જ દેખાય છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે પ્લેન લેન્ડ કરવાની કોશિશમાં ફંગોળાઈ ગયું અને થોડી જ ક્ષણોમાં અકસ્માત થયો. કેટલાક લોકોનું કહેવું છે કે ક્રેશ પછી લગભગ પાંચ વિસ્ફોટ થયા અને પ્લેન આગનો ગોળો બની ગયું. દુર્ઘટના બાદ વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું અને તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.
નોંધનીય છે કે બારામતી એરસ્ટ્રીપ પાસે આ વિમાન દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ એક સમર્પિત ટીમ તૈનાત કરી છે. આ ટીમ ઘટનાસ્થળે સુરક્ષિત હવાઈ કામગીરીને ટેકો આપવા માટે આવશ્યક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને હવામાન સેવાઓ પૂરી પાડી રહી છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર, તેણે વહીવટી અધિકારીઓની વિનંતી પર વાયુ યોદ્ધાઓની એક સમર્પિત ટીમ તૈનાત કરી છે.
‘લીઅરજેટ’ એરક્રાફ્ટને બુધવારે સવારે ખરાબ વિઝિબિલિટીના કારણે ચક્કર લગાવ્યા બાદ બારામતીમાં ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ક્લિયરન્સ મળ્યા પછી પણ, એરક્રાફ્ટે ATCને કોઈ ‘રીડ-બેક’ આપ્યું ન હતું અને ક્ષણો પછી રનવેની બાજુમાં આગમાં ભડકો થયો હતો.

