પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક નજીકના સહયોગીએ કહ્યું છે કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટ ટીમના કેપ્ટન ઈમરાન ખાનને બે વખત ‘સમાધાન’ની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ખાન કેટલાક કેસોમાં ઓગસ્ટ 2023થી જેલમાં છે.
વડાપ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે બુધવારે સાંજે એક ‘ટોક શો’માં ખુલાસો કર્યો, ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક ઈમરાન ખાન સાથે સમાધાન કરવા માટે ભૂતકાળમાં બે ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.’
સનાઉલ્લાહે કહ્યું, ‘પહેલો પ્રયાસ 26 નવેમ્બર 2024 પહેલા સંઘીય ગૃહ મંત્રી મોહસિન નકવી અને ખૈબર પખ્તુનખ્વાના તત્કાલીન મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો અને બીજો પ્રયાસ તાજેતરમાં વિદેશના કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાને શરૂઆતમાં સંમતિ દર્શાવી હતી પરંતુ બાદમાં તે કરારમાંથી પીછેહઠ કરી હતી. તેમણે કહ્યું, ‘અમે આ સમસ્યાનો રાજકીય ઉકેલ ઈચ્છીએ છીએ, પરંતુ ખાન કોઈ ઉકેલ શોધવા તૈયાર નથી.’
પોતે સત્તામાં આવવાનો પ્રયાસ કરવાનો દાવો
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN)ના વડા નવાઝ શરીફના નજીકના સહયોગી સનાઉલ્લાહે વધુમાં કહ્યું કે ખાન વર્તમાન સરકારને હટાવવા અને પોતે સત્તામાં આવવા માંગે છે.
ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા સૈન્ય સંસ્થાન સાથે કરાયેલા કરારનો બચાવ કરતા સનાઉલ્લાહે કહ્યું, ‘નવાઝ શરીફ એક અનુભવી રાજકારણી છે. તેણે પોતાની અને પોતાની પાર્ટી માટે આગળનો રસ્તો શોધી કાઢ્યો છે.

