કડીના લક્ષ્મીપુરાની કંપનીની કોલોનીમાં બે સિક્યોરિટી ગાર્ડે યુવકની હત્યા કરી
મહેસાણા, કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીની કોલોનીમાં કંપનીના બે સિક્યોરિટી ગાર્ડે યુવકને ઢોર માર મારતાં તેનું મોત નીપજયું હતું. નંદાસણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બિહારના જાહાનાબાદ તાલુકાના વતની સિદ્ધનાથ મોહન યાદવ તથા તેમના બે ભાઈઓ રામવિજયકુમાર (ઉ.વ.ર૩) અને અક્ષય કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીમાં નોકરી કરતા હોઈ કંપનીની કોલોનીમાં રહે છે. બુધવારે રામવિજયકુમારે મસાલો ખાધેલો હોવાથી કંપનીના ગેટ પરના ગાર્ડ અક્ષય પટેલે તેને નોકરી પર જવા દીધો નહોતો.
સાંજે રામવિજયકુમાર તથા તેમની સાથેના બલરામકુમાર યાદવ બંને કોલોની બહાર શીમલા હોટલે ઉભા હતા ત્યારે આ વાત થઈ હતી અને બાદમાં સવા આઠેક વાગ્યે તે બંને જણા કોલોનીમાં આવ્યા ત્યારે સિક્યોરિટી ગાર્ડ અક્ષયની શિફટ પૂરી થઈ હોય તે પણ કોલોનીમાં આવ્યો હતો. જયાં રામવિજયકુમારે તું કેમ મને નોકરી માટે કંપનીમાં જવાની ના પાડે છે તેમ કહેતા અક્ષય ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
તકરાર વધતાં ઉશ્કેરાઈ ગયેલા અક્ષય તેનો બેલ્ટ ઉતારીને આડેધડ મારવા લાગ્યો હતો. બલરામ તથા પ્રમોદ છોડાવવા વચ્ચે પડતા અક્ષયનું ઉપરાણું લઈને દોડી આવેલો બળવંતસિંહ પણ દંડાથી રામવિજયને મારવા લાગયો હતો. બંને જણા રામવિજયને મારતા મારતા ઢસડીને કોલોની બહાર લઈ ગયા હતા. અન્ય ગાર્ડ પણ દોડી આવ્યા હતા.
દરમિયાન બળવંતસિંહે રામવિજયનું ગળુ પકડી માથું દિવાલે ભટકાવતાં તે બેહોશ થઈ ગયો હતો અને બધા ગાર્ડ નાસી ગયા હતા. બેહોશ રામવિજયકુમારને નંદાસણ સીએચસી અને ત્યાંથી વધુ સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બાબતે સિદ્ધનાથ યાદવે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના સિકયોરિટી ગાર્ડ અક્ષયકુમારસિંહ યદુનાથસિંહ (રહે. ભવાનીપુર, વારાણસી, યુપી) તથા બળવંતસિંહ જોરસિંહ રાજપૂત (રહે. રાજસ્થાન) સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

