સુરતના અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ
સુરત, સુરતના હજીરા સ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા ભટલાઈ અને આદિવાસી બહુલ ઉમરપાડા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આપો તો મેળવો થીમ આધારિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૮પ૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
ભટલાઈ ખાતેના મુખ્ય સમારોહમાં ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ, અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે. સુરત જિલ્લા પંચાયત કૃષિ અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી સહિત સરપંચો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટય અને સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ પરંપરાગત ગરબાએ સૌનું મન મોહી લીધું હતું.
ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પોતાના સંદેશમાં મહિલાઓને અભિનંદન પાઠવતા અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા વિકાસ માટે કરાતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે જણાવ્યું કે, મહિલાઓને યોગ્ય સન્માન, તક અને સહકાર મળે તો તેઓ પરિવારથી લઈને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સુધી મહત્વનું યોગદાન આપી શકે છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા એસએચજી જૂથોને આવકવર્ધક સાધન- સામગ્રી સહાય, ખેતી માટે માંડવા સહાય અને વિવિધ કૌશલ્ય આધારિત પહેલો દ્વારા આર્થિક સશક્તિકરણની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.
કાર્યક્રમ દરમિયાન નવચેતન વિદ્યાલયની રાજય કક્ષાની એથલેટિકસ મીટમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને સ્પોટર્સ કીટ આપવામાં આવી હતી. રાજગરી ગામની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરનાર કૈલાશબેને દિલ્હી ખાતે યોજાયેલી વુમન લેડ ડેવલપમેન્ટ કોન્ફરન્સનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.
ઉત્થાન પ્રોજેકટમાં પાંચ વર્ષથી કાર્યરત સહાયકોને તેમના યોગદાનને બીરદાવતા પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એસએચજી બહેનોને પણ તેમની આવકવર્ધક કામગીરી માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉમરપાડામાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં પણ આશરે ૬પ૦ મહિલાઓએ ઉર્જાભર્યો પ્રતિસાદ આપ્યો. કાર્યક્રમના અંતે અદાણી ફાઉન્ડેશનની સીએસઆર હેડ શીતલબેને આભાર વ્યકત કર્યો હતો.

