ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બોરિયાવી નજીક એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાલુ મારુતિ વાનનો દરવાજો અચાનક ખુલી જતાં ૬૪ વર્ષીય વૃદ્ધ નીચે પટકાતા તેમનું કરુણ મોત નિપજ્યું છે.
માહિતી મુજબ આ અકસ્માત બોરિયાવી-નાડા રોડ પર બન્યો હતો. વાનમાં મુસાફરી કરી રહેલા વૃદ્ધ અચાનક દરવાજો ખુલી જતાં વાહનમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. ઘટનામાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમની હાલત નાજુક બની ગઈ હતી.
આસપાસના લોકોએ તાત્કાલિક મદદરૂપ બની ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક વૃદ્ધની ઓળખ ડુમેલાવ ગામના રહેવાસી સાલમભાઈ માલીવાડ તરીકે થઈ છે. તેઓ બોરિયાવી ગામે તેમના મામાના ઘરે સંબંધીને મળવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ બનાવ અંગે શહેરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

