(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન શ્રી બાબાસાહેબ આંબેડકર જયંતિની ભારતીય જનતા પાર્ટી તેમજ દલિત સમાજ દ્વારાભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારના ૧૦ઃ૦૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પ સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી, મંત્રી અંબિકા બેન સુથાર, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા સદસ્યો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ઉમેદવારો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ વણકર વાસ ભાભીવાસ વાલ્મિકી વાસ માંથી આ શોભા યાત્રાનો શુભારંભ કરાયો હતો.
આ શોભાયાત્રામાં ખેડબ્રહ્મા તથા આસપાસના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુંદર રીતે શણગારાયેલ રથમાં બાબાસાહેબ નો સુંદર ફોટો મૂકવામાં આવ્યો હતો. વણકરવાસ, ભાભીવાસ વાલ્મિકી વાસ માંથી આરંભાયેલ આ યાત્રા ખેડબ્રહ્માના મુખ્ય માર્ગો પર ફરી હતી. સ્ટેટ હાઇવે બ્રિજેશ ઓટો પાસે શહેર સંગઠન દ્વારા શરબત નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભારત વિકાસ પરિષદના કાર્યકરો દ્વારા હર વર્ષની જેમ સ્ટેટ બેંક પાસે શોભાયાત્રા નું સ્વાગત કરી સૌને ઠંડો શરબત પીરસાયો હતો.
૪૦ થી ૪૨ ડિગ્રી તાપમાન હોવા છતાં સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો ડીજેના તાલે નાચતા કુદતા જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના ગગન ભેદી સૂત્રોચાર સાથે આ શોભા યાત્રા પેટ્રોલ પંપ થઈ હાઈવે રોડ પર થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવેલ આંબેડકર ના બાવલા પાસે પહોંચી હતી જ્યાં બાબા સાહેબ ના પ્રતિમાને હારતોરા કર્યા હતા. અને શોભાયાત્રા પરત વણકરવાસ ખાતે પહોંચી હતી.

