શુક્રવારે બાંગ્લાદેશમાં 5.7-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને રાજધાની ઢાકા અને દેશના ભાગોમાં અનુભવાયો હતો, જેમાં એક શિશુ સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા, ઇમારતોને નુકસાન થયું હતું, અનેક સ્થળોએ આગ લાગી હતી અને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઢાકામાં ત્રણ અને નારાયણગંજમાં એકનું મોત થયું છે. સ્થાનિક મીડિયાએ દેશભરમાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયાના અહેવાલ આપ્યા છે.
બાંગ્લાદેશના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 10:38 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ઢાકાના ઉત્તર-પૂર્વની બહારના વિસ્તાર નરસિંગડીમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સ્થાન ઢાકાના અગરગાંવ વિસ્તારમાં ભૂકંપના કેન્દ્રથી લગભગ 13 કિલોમીટર પૂર્વમાં છે. ઢાકાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મલિક અહેસાન ઉદ્દીન સામીએ ફાયર સર્વિસને ટાંકીને જણાવ્યું હતું કે જૂના ઢાકાના અરમાનીટોલા વિસ્તારમાં પાંચ માળની ઇમારત પર રેલિંગ, વાંસનો પાલખ અને કાટમાળ તૂટી પડતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા.
તેમણે કહ્યું કે ભીડભાડવાળા વિસ્તારમાં એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. સામીએ પુષ્ટિ કરી કે ઘાયલોમાં એક મેડિકલ સ્ટુડન્ટ પણ છે જે તેની માતા સાથે માંસ ખરીદવા આવ્યો હતો. તેઓએ કહ્યું કે તે ગંભીર રીતે ઘાયલ છે અને તેને તાત્કાલિક સર્જરીની જરૂર છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૃતકોમાં એક આઠ વર્ષનો બાળક હતો, જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
ચોથું મૃત્યુ નારાયણગંજમાં થયું હતું, જ્યાં એક નવજાત બાળકી તેની માતાના ખોળામાં મૃત્યુ પામી હતી જ્યારે તેઓ ભૂકંપને કારણે ધરાશાયી થયેલી દિવાલ પાસે ચાલી રહ્યા હતા. ભૂકંપને પગલે જૂના ઢાકામાં સુત્રાપુરના સ્વામીબાગ વિસ્તારમાં આઠ માળની ઇમારત નજીકની અન્ય ઇમારત પર ઝૂકેલી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કાલાબાગન વિસ્તારમાં સાત માળની ઇમારત ઝૂકેલી જોવા મળી હતી. જો કે, ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે તે માળખાકીય રીતે સલામત છે.
ભૂકંપ પછી તરત જ ઢાકાના વૈભવી બારીધરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી, પરંતુ અગ્નિશામકો ખાતરી કરી શક્યા નથી કે તે ભૂકંપ સાથે સંબંધિત છે કે કેમ. ઢાકાને અડીને આવેલા મુન્શીગંજના ગઝરિયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં પણ આગ લાગવાની જાણ કરવામાં આવી હતી, જ્યાં અગ્નિશામકોએ તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ‘પ્રથમ આલો’ અખબાર અનુસાર, ઢાકાની આસપાસના ત્રણ જિલ્લામાં આ ભૂકંપમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં મોટા ભૂકંપનો ખતરો ઘણા સમયથી છે.

