લક્ષ્મીપુરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય સત્સંગ મેળાવડો યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, તારીખ ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવારના રોજ પાવન ભૂમિ લક્ષ્મીપુરા (ખેડબ્રહ્મા) ખાતે શ્રીમદ્ રામજીબાપાની જન્મભૂમિમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય સત્સંગ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરમ પૂજ્ય રામજીબાપા (ધોલવાણી) સહિત અનેક સંતોએ ઉપસ્થિત રહી ભક્તોને શ્રીમદ્ રામજીબાપાના જીવન ચરિત્ર અને તેમના અમૃત સમાન બોધ વચનોથી મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી) એ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, શ્રીમદ્ રામજીબાપાએ આ ધરતી પર અવતાર લઈ માત્ર વાતો નથી કરી, પણ આત્મ-પરમાત્મામય જીવન જીવીને બતાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભક્તિ એ તો અંતરમુખ થવાનો અને અહંકાર ઓગાળી દેવાનો માર્ગ છે. આપણે જે ‘હું’ પણામાં ફરીએ છીએ તેને ત્યજીને બધું જ પરમાત્માને અર્પણ કરવાનું છે.
જીવનના મર્મ અંગે માર્ગદર્શન આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે પરમાત્માએ આપેલા દાનના ધણી થઈને રાગ-દ્વેષ કરીએ છીએ, જે કર્મ બંધનનું કારણ બને છે. ભેગું કરેલું બધું જ અહીં રહી જશે અને જીવને પોતાની કરણી પ્રમાણે ભોગવવું પડશે. ભક્તિ અઘરી નથી, પણ માન મૂકવું અઘરું છે. જે માન અને બડાઈ ત્યજીને મેદાનમાં આવે છે તે જ સત્યને પામી શકે છે. વાતો કરવા કરતાં વર્તનમાં પરિવર્તન લાવવું વધુ લાભદાયક છે.
સત્સંગ દરમિયાન બોધ આપતા જણાવાયું હતું કે, મનુષ્ય અવતાર એ અડધો ઈશ્વરનો અવતાર છે. ગૃહસ્થાશ્રમ એ સૌથી મોટો આશ્રમ છે, જેમાં રહીને અનેક સત્પુરુષો તરી ગયા છે. અજ્ઞાનને કારણે જીવન અથડાય છે, પરંતુ આત્મામાં સંસાર હોતો નથી; આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે. જ્યારે હૃદયમાંથી આવરણ દૂર થાય ત્યારે જીવતાં જ હરિરૂપ થવાય છે.

