કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ હાર, ૩૯ ઉમેદવાર પાણીમાં બેસી ગયા
અમદાવાદ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ આણંદમાં જ કોંગ્રેસનો રકાસ થયો છે, કોંગ્રેસ પ્રમુખના ક્ષેત્રમાં જ કોંગ્રેસના ૩૯ જેટલા ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે. પ્રમુખ પોતે પણ તેમના ઉમેદવારોને સાચવી શકયા ન હોવાનું સામે આવ્યું છે.
આમ ગુજરાત કોંગ્રેસના પ્રમુખની રણનીતિનો તેમના ગઢમાં જ ફિયાસ્કો થયો છે. આણંદમાં ભાજપે ચૂંટણી પહેલાં જ જીતનું ખાતું ખોલાવ્યું છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પાણીમાં બેસી જતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ભાજપે તેમના ગઢમાં જ ધૂળ ચટાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક રીતે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને લઈને પણ સવાલો ઉઠયા છે, જેમાં લંગડા ઘોડા જેવા કે પછી લગ્નના ઘોડા જેવા ઉમેદવારો પસંદ કરાયા હતા. આ તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમારા ઉમેદવારોને પોલીસ દ્વારા ધાકધમકી અને દબાણ સર્જવામાં આવતાં આ સ્થિતિ થઈ છે.
કોંગ્રેસના જે ઉમેદવારો પાણીમાં બેસી ગયા છે તેમાં જિલ્લા, તાલુકા પંચાયત સહિતની બેઠકો સામેલ છે. આણંદથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમરેઠ તાલુકાની વણસોલ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે.
જિલ્લા પંચાયતની ચિખોદરા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર બેસી જતા આ બેઠક ભાજપને બિનહરીફ મળી છે. આ રીતે ૩૯ જેટલા કોંગ્રેસના ઉમેદવારો લંગડા ઘોડા જેવા સાબિત થયા છે, જે લડાઈ લડે તે પહેલાં જ બેસી ગયા છે.

