કર્ણાટક ચૂંટણીને લઈને કોંગ્રેસના ઢંઢેરાને લઈને રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં PFI અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દાને સામેલ કરવાને લઈને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીની પ્રતિક્રિયા સામે આવી છે. શુક્રવારે સીએમ ધામીએ કહ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસે જે રીતે બજરંગબલીને બહિષ્કાર કરવાનું અને હનુમાન ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે, તે સ્પષ્ટપણે તેમની તુષ્ટિકરણની નીતિ દર્શાવે છે.”
તેમણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન મોદીનું ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન પ્રત્યેનું સમર્પણ છે જેના કારણે આજે કોંગ્રેસને પણ હનુમાન ચાલીસાના પાઠ કરવાની ફરજ પડી રહી છે.” સીએમ ધામીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા તેની પર આકરા પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસ પર બજરંગબલીનો બહિષ્કાર અને વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. આ સિવાય કોંગ્રેસે તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. જેને લઈને કોંગ્રેસમાંથી જ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા હતા. રાજકીય પંડિતોના મતે એક તરફ કર્ણાટકના ચૂંટણી પરિણામો કોંગ્રેસની તરફેણમાં જતા જોવા મળી રહ્યા છે. સાથે જ કોંગ્રેસને આ મુદ્દે ખુલ્લેઆમ રાજનીતિનો માર પણ સહન કરવો પડી શકે છે.