વૃદ્ધા સાથે ર૬.૪૦ કરોડની છેતરપિંડી કરનાર મિહિર પરીખની ધરપકડ
વર્ષાબેનને મીહીર પરીખે રોકાણ કર્યાની એલઆઈસી પોલીસી, પ્રધાનમંત્રી વયવંદન યોજનાની સ્લીપો તેમની પાસબુકમાં એન્ટ્રીઓ કરાવીને આપી હતી.
(એજન્સી)અમદાવાદ, શેરબજારમાં એલઆઈસી સહીત અન્ય કંપનીઓની પોલીસીઓમાં રોકાણના નામે મિહીર પરીખ સહીતની ટોળકીએ અત્યાર સુધીમાં પ૦ કરોડની છેતરપીડીની ફરીયાદો નોધવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંતે મિહીર પરીખની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની વિરુદ્ધ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળી કુલ 8 ફરિયાદો નોંધાઈ છે.
બીજી તરફ ઠગ ટોળકીએ ૧૦૦ કરોડ રૂપિયાની છેતરપીડી આચાર્યાની આશંકાથી ઈઓડબલ્યુ ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ઠગો ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. પાલડીમાં રહેતા સોનલબેન પરીખ પરીવારજનો સાથે રહે છે.
તેમના માતા વર્ષાબેન શાહને પરીચીત મીહીર પરીખે લોભામણી લાલચ આપીને તેની કંપનીમાં એલઆઈસી પોલીસી સહીત અન્ય સ્કીમોમાં ટુકડે ટુકડે ર૬.૪૦ કરોડનું રોકાણ કરાવ્યું હતું. મિહિરે પોતાની પત્નીની સગી કાકીને રૂપિયા રોકાણ કરી આપવાનું કહી કરોડોની છેતરપીંડી કરી હતી.
મિહિર એન્ડ કંપનીએ 100 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું હોઈ શકે છે હાલ તેની વિરુદ્ધ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળી કુલ 8 ફરિયાદો નોંધાઈ છે. જેમાં ચીટિંગનો આંકડો 60 કરોડ સુધી પહોંચી રહ્યો છે.
વર્ષાબેનને મીહીર પરીખે રોકાણ કર્યાની એલઆઈસી પોલીસી, પ્રધાનમંત્રી વયવંદન યોજનાની સ્લીપો તેમની પાસબુકમાં એન્ટ્રીઓ કરાવીને આપી હતી. જોકે વર્ષાબેનનું અવસાન થતાં સોનલબેને મીહીર પરીખ પાસે ર૬.૪૦ કરોડ રૂપિયા પરત માંગ્યા હતા.
પરંતુ મિહીર ગલ્લાં તલ્લાં કરતો હતો. સોનલબેને તમામ પોલીસીઓ અંગે તપાસ કરાવતા ખોટી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સોનલબેનને મીહીર પરીખ સહીત સાત શખ્સો સામે ફરીયાદ નોધાવતા આર્થિક ગુના નિવારણ શાખાએ તેની ધરપકડ કરી છે.
ઠગ મિહિર એન્ડ કંપનીએ લોકોને ઠગીને આંબલી-બોપલ રોડ પર 2019માં સાડા છ કરોડ રૂપિયાનો 6000 ચોરસ ફૂટનો ફ્લેટ લીધો હતો. ઉપરાંત તેની પાસે મોંઘીદાટ ગાડીઓ પણ હતી. ગાંધીનગરના સરગાસણ ખાતે પણ તેણે પ્રોપર્ટીઓ ખરીદી હતી.
મિહિરનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધી શકે છે, તેથી તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત રજિસ્ટ્રાર ઓફિસમાં મિહિર અને તેના પરિવારજનો પાસે કેટલી પ્રોપર્ટી છે અને તે ક્યાં આવેલી છે તેની પણ તપાસ ચાલી રહી છે.

