અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક શાંગ્રીલા આર્કેડમાં આગની ઘટના: 50 લોકોનું રેસ્ક્યુ
અમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ શાંગ્રીલા આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે 27 એપ્રિલની સવારે અંદાજે 10:15 વાગ્યે આગની ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને એક સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી. ફાયર કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
આ ઘટનામાં બિલ્ડિંગના પહેલાથી ચોથા માળ સુધી આગ અને ધુમાડો ફેલાઈ જતા અંદાજે 50 જેટલા લોકો અંદર ફસાયા હતા, જેમને ફાયર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
જો કે, આગની અસરથી ચાર મહિલાઓ ધુમાડાના કારણે બેભાન હાલતમાં મળી આવી હતી, જેમને ફાયર મેન દ્વારા નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્તોના નામ હાલ જાણવા મળ્યા નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ફાયર વિભાગ દ્વારા કુલ 38 વાહનો અને 138 જેટલા સ્ટાફને કામે લગાડવામાં આવ્યા હતા. તેમાં 20KLના 8 વોટર બાઉઝર, 1 મિનિ ફાઇટર, 15 બોલેરો અને 3 સ્કોર્પિયો ફર્સ્ટ રિસ્પોન્ડર, 3 યોદ્ધા ફર્સ્ટ રિસ્પોન્ડર, 2 એમ્બ્યુલન્સ, 1 વોટર ટેન્કર (10KL), 1 ફાયર ફાઇટર, 1 ઇમર્જન્સી ટેન્ડર, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ (HPL) અને 1 ટર્ન ટેબલ લેડર (TTL)નો સમાવેશ થાય છે. આ સ્ટાફમાં 68 ફાયરમેન, 8 જમાદાર, 39 ડ્રાઇવર, 3 સબ ઓફિસર, 9 સ્ટેશન ઓફિસર, 5 ડિવિઝનલ ઓફિસર, 3 ડેપ્યુટી CFO, 2 એડિશનલ CFO અને 1 CFO સામેલ હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોટક મહિન્દ્રા બેંકની બહાર આવેલી ઇલેક્ટ્રિક નેમ ડિસ્પ્લે બોર્ડમાંથી આગની શરૂઆત થઈ હતી. આ આગ ઝડપથી ફેલાઈને બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી.
આગની ગરમીના કારણે બેંક સામે પાર્ક કરાયેલા બે ટુ-વ્હીલર અને એટીએમ મશીન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

