ગાંધીનગર, ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા કરવા, હથિયાર અને ફંડ એકઠું કરવા તથા દેશ વિરુદ્ધ જંગ છેડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
ડેપ્યુટી એસપી વીરજીત સિંહ પરમારની આગેવાનીમાં થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે, બંને યુવકો છેલ્લા ૭ મહિનાથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સક્રિય હતા. તેઓ ૧૨-૧૩ સભ્યોના એક અત્યંત નજીકના ગ્રુપનો ભાગ હતા, જે ભારતમાં ‘ગઝવા-એ-હિન્દ’ ની સ્થાપના પર ચર્ચા કરતું હતું. આ યુવકો ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ જેવા ઉગ્રવાદી અને કટ્ટરપંથી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત હતા.
પોલીસ તપાસ અનુસાર, આ બંને યુવકોને કોઈ હેન્ડલર દ્વારા ઓપરેટ કરવામાં આવતા નહોતા, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેઓ સંપૂર્ણપણે ‘સેલ્ફ-રેડિકલાઈઝ્ડ’ (પોતે જ કટ્ટરપંથી) થઈ ગયા હતા.
ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે આરોપીઓની ઓળખ ઈરફાન ખાન પઠાન અને મુર્શિદ ઝાહિદ અખ્તર શેખ તરીકે થઈ છે. ઈરફાન ૨૨ વર્ષનો છે, જે પાટણના સિદ્ધપુરનો રહેવાસી છે. તેણે મહેસાણાથી સ્જીષ્ઠ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.
બીજો આરોપી- મુર્શિદ ઝાહિદ અખ્તર શેખ, ૨૧ વર્ષનો છે, જે મૂળ બિહારનો રહેવાસી છે. તેણે આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મુર્શિદ મુંબઈમાં તેના ભાઈ સાથે બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.
એક ચોક્કસ બાતમીના આધારે, ગુજરાત એટીએસ ની ટીમે સ્થાનિક પોલીસની મદદથી સિદ્ધપુરથી ઈરફાન ખાન પઠાન અને મુંબઈથી મુર્શિદની ધરપકડ કરી હતી. બંને યુવકોનો કોઈ અગાઉનો ગુનાહિત ઈતિહાસ નથી. હાલમાં, બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ની કલમ ૧૪૮ અને ૬૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બંને આરોપીઓ છેલ્લા ૬ મહિનાથી સક્રિય હતા. તેઓ સોશિયલ મીડિયા પર સમાન વિચારધારા ધરાવતા યુવકોને શોધીને પોતાની એક ટીમ બનાવી રહ્યા હતા. તેમનો અંતિમ ઉદ્દેશ્ય ભારતમાં શરિયત કાયદો લાગુ કરવાનો અને દેશની શાંતિ ડહોળવાનો હતો.
એટીએસએ મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને મુંબઈથી મુરશીદની ધરપકડ કરી હતી. હાલમાં કોર્ટે બંને આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસ હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા યુવકો જોડાયેલા છે અને વિદેશમાં બેઠેલા આકાઓ તેમને કેવી રીતે ગાઈડ કરી રહ્યા હતા.
સ્લીપર સેલનો નાશઃ ગુજરાત એટીએસ એ અનેક વાર પાકિસ્તાન સ્થિત સંગઠનો (જેમ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ) દ્વારા મોકલવામાં આવેલા સ્લીપર સેલ્સને સક્રિય થાય તે પહેલા જ પકડ્યા છે. સીમાવર્તી સુરક્ષાઃ કચ્છ સરહદ અને દરિયાઈ માર્ગે થતા હથિયારો તથા ડ્રગ્સના સ્મગલિંગને રોકવામાં એટીએસની ભૂમિકા નિર્ણાયક રહી છે.

