‘ગ્રાન્ટ નહીં મળે’- મિતેષ પટેલ જ્યાં બોલ્યા તે આંકલાવ પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ-આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ૧૩ અને ભાજપને ૭ બેઠકો મળી છે.
પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન ઈવીએમમાંથી રોષ બહાર આવ્યો છે.
ગાંધીનગર, ચૂંટણી સમયે જાહેર મંચ ઉપરથી થતા ઉચ્ચારણો, પોતાને જ ફળે છે તેની પ્રતીતિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અંતે રાજકીય નેતાઓને થઈ છે.
પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન ઈવીએમમાંથી રોષ બહાર આવ્યો છે. જેમાં આણંદના સાંસદ મિતેષ પટેલે જયાંથી ‘અહીંથી એક પણ કોંગ્રેસી ચૂંટાશે તો એક પૈસો ગ્રાન્ટ નહીં મળે’ તેવી ચીમકી ઉચ્ચારી હતી તે આંકલાવ તાલુકા પંચાયતની ર૦ પૈકી ૧૩ બેઠકો ઉપરથી ભાજપના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.

આણંદના સાંસદ મિતેષ પટેલના શબ્દોની અસર આંકલાવ તાલુકા પંચાયતમાં જ નહીં, અડીને આવેલી બોરસદ તાલુકા પંચાયતમાં પણ થઈ છે.
બોરસદમાં ૩૪માંથી કોંગ્રેસને ૧૧, ભાજપને ર૩ બેઠકો મળી છે. આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ૧૩ અને ભાજપને ૭ બેઠકો મળી છે. વડોદરા જિલ્લામાં ડભોઈથી ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ તેમના નિવેદનો માટે જાણીતા છે.
ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા મુદ્દે તેમની હાજરીમાં જ મારામારી થઈ હતી. તેઓ જ્યાંથી ધારાસભ્ય છે તે ડભોઈ નગરપાલિકામાં ૩૬ પૈકી ભાજપને માત્ર ૧પ બેઠકો જ મળી છે. જયારે કોંગ્રેસના ૧૭ ઉમેદવારોનો વિજય થયો છે.
આ સિવાયના ચાર અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા તાલાલાના ભગાભાઈ બારડ પણ ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત ગુસ્સામાં જોવા મળ્યા હતા.
સૂત્રાપાડામાં એક સભા સંબોધતા તેમણે સમાજના મતદારોનો ઉલ્લેખ કરી ‘જો આ વખતે ભૂલ થઈ તો મારા ઘરના બારણા બંધ’ એવી ચીમકી આપી હતી. ચૂંટણીમાં મતદારો જાણે તેનો જવાબ આપતા હોય તેમ ધારાસભ્ય બારડના વતન આજોડામાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પાસેથી તાલુકા પંચાયતની બેઠક આંચકી લેવાની તક ઉપલબ્ધ કરી છે !

