આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે ભવિષ્યની સંરક્ષણ તૈયારીઓ વિશે વાત કરતા કહ્યું કે ભારતને હવે રોકેટ-મિસાઈલ ફોર્સની જરૂર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દેશને એવા બળની જરૂર છે જે રોકેટ અને મિસાઈલ બંને ક્ષમતા ધરાવે છે. ચીન અને પાકિસ્તાન પહેલાથી જ આવા દળો ઉભા કરી ચૂક્યા છે.
આર્મી ડે પહેલા વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ભારત 120 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી પિનાકા રોકેટ સિસ્ટમને સતત મજબૂત કરી રહ્યું છે. આ સિવાય પ્રલય સહિત અન્ય રોકેટ અને મિસાઈલ સિસ્ટમ પર પણ કામ ચાલી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં રોકેટ અને મિસાઈલ દળો ભારત માટે જરૂરી બની ગયા છે અને સરકાર પણ આના પર સહમત છે. હવે નિર્ણય લેવાનો છે કે આ દળ સેનાની અંદર રહેશે કે સંરક્ષણ મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળ રહેશે.
આર્મી ચીફે કહ્યું, ઓપરેશન સિંદૂર બાદ સેનાએ પોતાની તૈયારીઓમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હાલમાં જ સેનાની ફાયરપાવર વધારવા માટે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ (IBG)ની રચના માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રક્રિયા ઘણા સમયથી પેન્ડિંગ હતી, પરંતુ હવે તેનો રસ્તો સાફ થઈ ગયો છે. મેજર જનરલ સ્તરના અધિકારીના નેતૃત્વમાં સેનાના 16 યુનિટને જોડીને આવા જૂથો બનાવવામાં આવશે, જેના માટે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.
આર્મી ચીફે કહ્યું કે ભારતની તૈયારીઓ લાંબા ગાળાની છે, કારણ કે આપણે જાણીએ છીએ કે યુદ્ધ ઓપરેશન સિંદૂરની જેમ ચાર દિવસમાં ખતમ થઈ શકે છે અને રશિયા-યુક્રેન યુદ્ધની જેમ ચાર વર્ષ સુધી પણ ચાલી શકે છે.
નવી બ્રિગેડ સાથે તાકાત વધશે
જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ભવિષ્યની યુદ્ધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભૈરવ, શક્તિમાન, દિવ્યસ્ત્ર અને રુદ્ર બ્રિગેડ જેવા એકમોની રચનાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ટ્રેનિંગ કમાન્ડનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જેથી સેના આવનારા પડકારોનો સારી રીતે સામનો કરી શકે. આર્મી ચીફે કહ્યું કે લડાયક તૈયારીઓને મજબૂત કરવા માટે તૈનાતી પ્રણાલીમાં પણ નવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી સેનાને વધુ અસરકારક બનાવી શકાય.

