વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ, જેમાં 15 લોકોના મોત થયા. વિયેતનામમાં ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે માહિતી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં 32 લોકો સવાર હતા. દૂતાવાસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. હાલમાં, સ્થાનિક અધિકારીઓ પાસેથી ઘટના સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નજીકમાં હાજર અન્ય બોટ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મુસાફરોને પાણીમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. આ પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ અને અન્ય બચાવ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, ઊંચા મોજાં અને બોટની અંદર ઘણા લોકો ફસાયા હોવાને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે તમામ મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બોટ પલટી જવા પાછળનું કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક દુ:ખદ ઘટનામાં, ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે પલટી ગઈ છે.” ભારતીય નાગરિકોની મદદ માટે હો ચી મિન્હ સિટીમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને હનોઈમાં ભારતીય દૂતાવાસમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. દૂતાવાસે કહ્યું કે લોકો કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.
કંટ્રોલ રૂમનો આ નંબરો પર સંપર્ક કરી શકાય છે-
+84362817930

