ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ૭૭૨ પીઆઈની બદલી
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, તે પહેલા જ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી.
જે બાદ ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીના આદેશ અપાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ગુજરાતમાં હાલ એક સાથે ૭૭૨ પીઆઈની બદલીના આદેશ અપાયા છે, ત્યારે આ માહિતી સામે આવતા જ ચૂંટણીને લગતી ચર્ચાઓ શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, આજે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત પોલીસ વિભાગની ડીજી એન્ડ આઈજી ઓફિસ ગાંધીનગર ખાતેથી પોલીસ વિભાગમાં મોટા પાયે પોલીસકર્મીઓની બદલીનો પરિપત્ર જાહેર કરાયો છે.
કુલ ૭૭૨ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને બદલીના આદેશ અપાયા છે. જેમાંથી પીએસઆઈ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)માંથી પ્રમોશન પામેલા ૨૫૪ પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર)ને પોસ્ટિંગ મળતા તેઓની બદલી કરવામાં આવી છે, જ્યારે તેઓની સાથે સાથે અન્ય ૫૧૮ પીઆઈ મળીને કુલ ૭૭૨ પીઆઈની બદલી કરાઈ છે.
પરિપત્રમાં ઉલ્લેખ મુજબ, કોઈની પોલીસ ઈન્સપેક્ટરની જાહેર હિત માટે તો કોઈની પદર ખર્ચે બદલી કરાઈ હોવાનું દર્શાવાયું છે. રિમાર્કમાં જાહેર હિત અને પદર ખર્ચનો ઉલ્લેથ કરી કૂલ ૭૭૨ જેટલા પોલીસ ઈન્સપેક્ટરને બદલીના આદેશ અપાયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, તે સમયે આટલા મોટા પાયે બદલીના આદેશ અપાતા આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે.
નોંધનીય છે કે, ગઈકાલે ૨૫મી માર્ચે જ ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગ મારફતે ૩ આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કર્યા હતા. જે અનુસાર મહેસાણા મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અમરેલીના ડીડીઓપી. બી. પંડ્યાને જામનગરના કલેક્ટર તરીકે મોકલાયા છે. તો નડિયાદના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકીને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

