હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં ભાજપનો જયજય કાર-હિંમતનગર પાલિકામાં ભાજપને ૪૪ માંથી ૩૭, કોંગ્રેસને ૭ બેઠક મળી ઃ ઈડર નગરપાલિકાના ભાજપનો એક બેઠક સિવાય એકતરફી વિજય
વડાલી પાલિકાની ર૪ બેઠકોમાંથી કોંગ્રેસે ર૦ બેઠક જીતી-પ્રાંતિજ પાલિકાની એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થયું છે ત્યારે ૪ પૈકી ત્રણ નગરપાલિકા વિસ્તારના મતદારોએ ભાજપને સત્તા આપવા માટે પુનરાવર્તન કર્યું હોય
તેમ ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપીને સત્તાના સિહાસન બેસાડવાનો નિર્ણય કર્યો છે. જોકે વડાલી નગરપાલિકામાં સમાવિષ્ટ મતદારોએ ભાજપને આગામી પાંચ વર્ષ માટે સત્તાની દુર રાખવા માટે કોંગ્રેસનો વિકલ્પ પસંદ કર્યો છે ત્યારે તે પાછળ સ્થાનિક સમસ્યાઓ તથા ભાજપમાં અંદરોઅંદરના વિખવાદ કારણભૂત હોય તેવું સ્થાનિક પ્રજાનું માનવું છે.
હિંમતનગર નગરપાલિકાની ૪૪ બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ થયા બાદ ગત તા. ર૬ એપ્રિલના રોજ ૪૧ બેઠક માટે ૧૧ વોર્ડમાં મતદાન થયું હતુ. ત્યારબાદ મંગળવારે હિંમતનગરની પોલીટેકનીકમાં મતગણતરી શરૂ થઈ હતી. જેમાં ભાજપને બધી મળીને ૩૭ બેઠક મળી છે.
તો બીજી તરફ હિંમતનગર પાલિકાના વોર્ડ નં. ૩ ના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન બાદશાહ સૌથી વધુ એટલે કે અંદાજે ૪પ૦૯ મત મેળવીને પોતાના વોર્ડમાં વધુ એક વખત મતદારોનો વિશ્વાસ સંપાદન કરીને વિજય મેળવ્યો છે.
બાકીના વોર્ડમાં એકંદરે અપેક્ષા મુજબના ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. અહીં વોર્ડ નં. ૪ માં ભાજપની પેનલ ખંડીત થઈ હોય તેમ ફક્ત એક જ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. બાકીના ત્રણની હાર થઈ છે. તે કેમ થઈ ? તે તપાસનો વિષય છે.
ઈડર નગરપાલિકાના પરીણામો મુજબ ભાજપથી નારાજ થઈને જે અપક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ તેમને મતદારોએ જાકારો આપ્યો છે. જેની પાછળ સ્થાનિક રાજકારણ અને અન્ય પરીબળો જવાબદાર હોય તો નવાઈ નહી. નગરપાલિકાનું પરિણામ જાહેર થયા બાદ વિજયી ઉમેદવારોએ સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને જઈ આનંદોત્સવ મનાવ્યો હતો.
આ વખતે મતદારોએે કરેલો નિર્ણય સ્થાનિક રાજકારણીઓ માટે એટલા માટે સૂચક છે કે ભાજપની વિચારસરણીથી વિચલીત થઈ જો સત્તાની લાલચ માટે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હશે છતાં સ્થાનિક મતદારોએ તેમને દરવાજો બતાવી દીધો છે. અહીંના મતદારોએ અગાઉ સત્તા પર રહી વિકાસના કામો કરનારને ભૂલી જવાયા છે જે સૂચક માનવામાં આવે છે.
વડાલી નગરપાલિકાના ૬ વોર્ડમાંથી પ વોર્ડમાં કોંગ્રેસને મતદારોએ વિજયી બનાવ્યા છે ત્યારે હવે મતદારોની અપેક્ષા ખૂબ જ વધી ગઈ છે. ચૂંટાયેલા કોર્પોરેટરો જો મતદારોનો નજરઅંદાજ કરશે તો કદાચ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતીનું નિર્માણ થાય તેવી શક્યતાને નકારી શકાય નહી. અહીં જિલ્લા પંચાયતની જે બેઠકો પરના મતદારોએ પોતાનો જનાદેશ આપી દીધો છે તેને વિજયી બનેલા ઉમેદવારોએ ભૂલવો ન જોઈએ.

