ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ફરી એકવાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અથડામણ થઈ છે. પાકિસ્તાને મંગળવારે સરહદ પર ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનનો આરોપ છે કે અગાઉ અફઘાનિસ્તાન તરફથી કોઈપણ ઉશ્કેરણી વિના ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને મંગળવારે સરહદ પર અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા કથિત ઉશ્કેરણી વિનાના હુમલાનો જવાબ આપ્યો. એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.
‘ઓપરેશન ગઝબ લીલ હક’માં થોડા દિવસોના વિરામ બાદ આ હુમલા થયા છે. અફઘાન તાલિબાન દ્વારા સરહદી ચોકીઓ પર હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા 26 ફેબ્રુઆરીએ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા સૂત્રોને ટાંકીને ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની સેનાના જવાબી ગોળીબારમાં અફઘાન તાલિબાન અને ‘ફિતના અલ-ખાવરિજ’ને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓનું વર્ણન કરવા માટે સરકાર દ્વારા ‘ફિતનાહ અલ-ખાવરિજ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સેનાએ ચમન સેક્ટરમાં અફઘાન તાલિબાનની ઘણી ચોકીઓને અસરકારક રીતે નિશાન બનાવી અને નષ્ટ કરી દીધી.”
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન ગઝબ લીલ હક’ જ્યાં સુધી તેના તમામ નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સરકારી મીડિયા અનુસાર, 15 એપ્રિલના રોજ, ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના સરહદી વિસ્તારમાં અફઘાન તાલિબાન દળો દ્વારા કથિત ગોળીબારમાં બે બાળકો સહિત ત્રણ નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

