ત્રણ મેચની વનડે શ્રેણી બાદ શ્રીલંકા પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સાથે ત્રિકોણીય શ્રેણી પણ રમવાનું હતું. જો કે હવે ટીમના આઠ ખેલાડીઓએ સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. SLCના સૂત્રોના જણાવ્યા અનુસાર જે ખેલાડીઓ ઘરે પરત ફરી રહ્યા છે તેમની જગ્યાએ નવા ખેલાડીઓને મોકલવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ઈસ્લામાબાદથી રાવલપિંડી નજીક હોવાને કારણે ખેલાડીઓએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને સ્વદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ શ્રીલંકન ટીમના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.
2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઘણા ખેલાડીઓ ઘાયલ થયા હતા અને પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. તે હુમલા પછી, વિદેશી ટીમોએ લગભગ એક દાયકા સુધી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો અને પાકિસ્તાનને તેની ઘરેલું મેચો સંયુક્ત આરબ અમીરાતમાં રમવાની હતી.

