સંસદસભ્ય રાજેશ ચુડાસમા, પૂર્વ સંસદસભ્ય ગીતા રાઠવા, જામનગરના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા આવશે.
દરેક મહાનગરપાલિકામાં મેયર પદ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો પાસે નામ માંગવામાં આવશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં ભાજપે તમામમાં સત્તા હાંસલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી 160 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક આગામી દિવસોમાં થવાની છે.
મેયર તરીકેની નિમણુક માટે ભાજપ દ્વારા 2 અથવા 3 મેના રોજ ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવશે અને મેયર તરીકેના નામો આપવામાં આવશે. જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ ની જાહેરાત થશે.
ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની સત્તા હવે આવતા ની સાથે જ દરેક મહાનગરપાલિકામાં મેયર સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.
મહા નગરપાલિકામાં મેયર કોણ બનશે તેના માટે ભાજપ દ્વારા 2 અને 3 મેના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં દરેક મહાનગરપાલિકામાં મેયર પદ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો પાસે નામ માંગવામાં આવશે.
તમામ નામો પર ચર્ચા વિચારણા હાથ કરવામાં આવતા અને ત્યારબાદ આગામી 6 થી 8 મેના રોજ ગાંધીનગર ખાતે મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ નામ મોકલવામાં આવશે.
પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રાજ્યની 15 મહાનગરપાલિકા માટેના મેયર પદના દાવેદાર ના નામો પર ચર્ચા કરવામાં આવશે અને દરેક મહાનગરપાલિકા માટે મેયરના નામના કવર બનાવીને જે તે શહેર પ્રમુખ અથવા પ્રભારીને આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવશે.
મેયર પદ માટે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે જેના બે દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની રચના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 12 લોકો ફોર્મ ભરશે
જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનું નામ જાહેર ન થાય તેના માટે 15થી 18 લોકોને ફોર્મ ભરાવવામાં આવશે અને ત્યારબાદ નામ પાછા ખેંચાવવામાં આવશે. માત્ર 12 નામો સાથેની સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત પ્રથમ સામાન્ય સભામાં કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં આ સમગ્ર પ્રક્રિયા 8 થી 10 મે ની વચ્ચે પૂર્ણ કરવામાં આવશે એવી પૂરી શક્યતાઓ જણાય છે જેથી અમદાવાદના મેયર 10 મે સુધીમાં મળી શકે તેવી સંભાવના છે. આ સેન્સ લેવા માટે સંસદસભ્ય રાજેશ ચુડાસમા, પૂર્વ સંસદસભ્ય ગીતા રાઠવા, જામનગરના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા આવશે.

