ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા અને તેના ફેન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા નિયમિત કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગિલને ગરદનમાં મચકોડ આવી હતી જેના કારણે તે રિટાયર હર્ટ થયો હતો અને પછી તે ફરીથી બેટિંગ કરવા આવ્યો નહોતો. ગિલની ઈજા થોડી ગંભીર હતી જેના કારણે તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, હવે શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ટીમ સાથે ગુવાહાટી પહોંચી ગયો છે. પોતાની ઈજા અંગે છેલ્લી અપડેટ આપતાં BCCIએ કહ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત પૂરી થયા બાદ તેને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. શુભમન આપવામાં આવેલ તબીબી સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યો છે અને તે 19 નવેમ્બર, 2025ના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે.
બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખશે અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અંગેનો નિર્ણય તેના આધારે લેવામાં આવશે.

