અમદાવાદ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મોડી રાત્રે એક જ્વેલર્સના વેપારી પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે.
વસ્ત્રાલ રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સફેદ રંગની સ્વિફ્ટ કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીનું એક્ટિવા રોકી, તલવાર અને લાકડી વડે હુમલો કરી માર માર્યાે હતો. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલમાં નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓમ સર્કલ પાસે જ્વેલર્સની દુકાન ધરાવતા લાભુભાઈ મોહનભાઈ દેસાઈ (ઉં.વ. ૩૬) ગઇકાલે મોડી રાત્રે પોતાની દુકાન બંધ કરી એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સાનિધ્ય બંગ્લોઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી એક સફેદ સ્વિફ્ટ કારે તેમનો રસ્તો રોક્યો હતો. કારમાંથી વિશાલ સવજીભાઈ દેસાઈ નામનો શખ્સ નીચે ઉતર્યાે હતો અને “મારે તમારું કામ છે” તેમ કહી વેપારીને ઊભા રાખ્યા હતા.
ત્યારબાદ કારમાંથી અન્ય ત્રણ શખ્સો – ધાર્મિક ઉર્ફે ધમો હીરાભાઈ દેસાઈ, મહેશ ઉર્ફે સુલ્તાન અને લગધીર કાનજીભાઈ દેસાઈ પણ નીચે ઉતર્યા હતા.બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા વિશાલ દેસાઈએ કારમાંથી તલવાર કાઢી વેપારીના એક્ટિવાની હેડલાઈટ પર ઝીંકી દીધી હતી, જેનાથી અંદાજે ¹ ૨,૫૦૦નું નુકસાન થયું હતું.
હુમલાખોરો આટલેથી જ ન અટકતા, ધાર્મિક દેસાઈએ લાકડી વડે વેપારીના બંને પગે ફટકા માર્યા હતા, જ્યારે મહેશ અને લગધીર નામના શખ્સોએ ઢીંકાપાટુનો માર મારી ગાળાગાળી કરી હતી.
વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે ચારેય હુમલાખોરો પોતાની કાર લઈને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વેપારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યા બાદ રામોલ પોલીસ મથકે પહોંચી ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS

