(એજન્સી) વિરુધુનગર, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
અગાઉ ૯ લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા વધીને ૧૯ થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા ૬ લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ (ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, હાલ રાહત-બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં છે. ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું.
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી સ્ટાલિને દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુખદ છે, મને આઘાત પહોંચ્યો છે.
તેમનો મૃતકો અને પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર આ કઠિન સમયમાં તેમની સાથે ઊભી છે. સાથે જ રાહત બચાવ કાર્ય ઝડપી કરવા આદેશ આપ્યો છે. હાલ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક આશંકા છે કે આ અકસ્માત ફટાકડાના ઉત્પાદન દરમિયાન સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે થયો હોઈ શકે છે.

