હૈદરાબાદથી એક દિલધડક કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરેલુ વિવાદથી કંટાળીને 27 વર્ષની મહિલાએ પહેલા પોતાના 10 મહિનાના બાળકને ઝેર આપીને મારી નાખ્યું અને પછી આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાનો તેના પતિ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલા અને બાળકોને મૃત જોયા બાદ બાળકની દાદીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો બચાવ થયો હતો.
એનડીટીવીના અહેવાલ મુજબ મહિલાની ઓળખ 27 વર્ષીય સુષ્મા તરીકે થઈ છે. સુષ્માના લગ્ન ચાર વર્ષ પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યશવંત રેડ્ડી સાથે થયા હતા. દંપતીને દસ માસનો પુત્ર હતો. પરિવારજનોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સુષ્મા લડાઈના થોડા દિવસો બાદ તેની માતા લલિતાના ઘરે આવી હતી. આ સમય દરમિયાન, તેણીએ પોતાને તેના બાળક સાથે રૂમમાં બંધ કરી દીધી હતી અને ઝેર પી લીધું હતું. રાત્રે જ્યારે યશવંત પણ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે તેનું બાળક અને પત્ની રૂમની અંદરથી બંધ જોયા. દરવાજો તોડ્યા બાદ બંને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને લલિતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો બચાવ થયો હતો.
પોલીસે જણાવ્યું કે આ કેસ હમણાં જ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ મામલો ઘરેલું હિંસા સાથે જોડાયેલો હોવાનું જણાય છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, તપાસ ચાલુ છે.

