સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદી કુરિવાજોને નાબૂદ કરી, દીકરી અને દિકરાને એક જ સમાન ગણી બન્ને સારું શિક્ષણ આપીએ
મોરબીમાં મળેલી બેઠકમાં હાઈટેગ યુગમાં કદમ મિલાવવા સંકલ્પ
મોરબી, મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા, મચ્છુ માતાનું લોકમાતા તરીકે પૂજન કરતા માલધારી એટલે રબારી ભરવાડ સમાજે આજના હાઈટેક યુગમાં કદમ સાથે કદમ મિલાવી શિક્ષણ, ટેકનોલોજી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવી છે પણ હજુ સમાજ સામે એકતા તેમજ યુવાનોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ, સંસ્કારનું સિંચન કરવા કેટલાક પડકારો હોવાથી મોરબીમાં મચ્છુ માતાજીના સાનિધ્યમાં રબારી અને ભરવાડ સમાજની મહત્ત્વની એકતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં હજુ પણ સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદી કુરિવાજોને નાબૂદ કરી, દીકરી અને દિકરાને એક જ સમાન ગણી બન્ને સારું શિક્ષણ આપી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સાથે સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે અથાક પ્રયાસો કરવાનો સમાજના તમામ મોભાદાર વડીલો અને સર્વે આગેવાનોએ દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.
રબારી ભરવાડ સમાજની એકતા બેઠકમાં મોભાદાર વડીલો, આગેવાનો તથા યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજબંધી ભાઈઓએ એક મંચ પર ભેગા થઈને પરસ્પર સ્નેહ, વિશ્વાસ અને જોડાણની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
આ તકે કેટલાક રૂઢીગત કુરિવાજોને ત્યાગી વધુને વધુ શિક્ષણ ઉપર ભાર મૂકી સમાજના વિકાસથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા તથા રબારી ભરવાડ સમાજને મજબૂતીથી એકસૂત્રે બાંધવા માટે સંગઠન બનાવવાના નિર્ણયો લેવાયા હતા.
આ બેઠકમાં ખાસ કરીને શિક્ષણ, સામાજિક જાગૃતિ અને રાજકીય સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં મજબૂત સંગઠન ઊભું કરીને સક્રિય કાર્ય શરૂ કરવાની દિશામાં સર્વસંમતિથી સંકલ્પ લેવાયો હતો.
માલધારી સમાજના આગેવાન ડૉ.દેવેન્દ્ર રબારીએ જણાવ્યું હતું કે, સમાજની સાચી શક્તિ તેની સંખ્યામાં નહીં પરંતુ તેની એકતા અને સંગઠન શક્તિમાં હોય છે. આવનારા સમયમાં શિક્ષણ, સામાજિક, અને રાજકીય ક્ષેત્રે સમાજને સશક્ત બનાવવા માટે સતત કાર્યરૂપ બનશે જ્યારે સમાજ એક બને છે ત્યારે વિકાસના નવા દ્વાર ખૂલે છે.
આ કાર્યક્રમને સફળ કરવા મહંત કિશન ભગત, જયેશભાઈ ગોલતર, સંજયભાઈ રાતડિયા, મોતીભાઈ મુંધવા, દાનાભાઈ બાંભવા, રૈયાભાઈ મુંધવા, નવઘણભાઈ રાતડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

