છાપેલી કિંમત ઉપર જો કોઈ છેકછાક કરી હોય તો એના નિયમ ૨૦૧૧ મુજબ આ એકમો સામે કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે છે.
વડોદરા,પંચમહાલ અને કચ્છમાં કુલ ૫૮ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ-ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
રાજ્યના ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વેપારીઓ પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લઈ શક્તા નથી. ગ્રાહક તરીકે વસ્તુ ખરીદતા પહેલાં તેની પર છાપેલી કિંમતમાં કોઈ છેકછાક થઈ છે કે નહીં તે તપાસી લેવી જોઈએ.
તેની પર છાપેલી કિંમત અને એ સાથે અન્ય વિગતો પણ હોય છે. આમ છતાં જો એને છાપેલી કિંમત ઉપર જો કોઈ છેકછાક કરી હોય તો એના નિયમ ૨૦૧૧ મુજબ આ એકમો સામે કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે છે.
પરંતુ જ્યારે પ્રથમદર્શી ગુનો હોય ત્યારે તેની પાસેથી માંડવાળ ફી તરીકે રૂ ૫,૦૦૦ થી લઈને રૂ. ૫૦,૦૦૦ સુધી વસૂલ કરવામાં આવે છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જો બીજી વાર એ ભૂલ કરે અથવા બીજી વાર જો એ ગુનામાં પકડાય તો એની સામે ન્યાયાલયમાં કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં વડોદરા જિલ્લાના ૩૨ એકમો સામે કાર્યવાહી કરેલી છે.
જે પૈકી વડોદરા શહેરના ૧૯ વાઘોડિયામાં એક, પાદરામાં એક, ડભોઈમાં ૦૬ અને સાવલીમાં પાંચ એકમોનો સમાવેશ થાય છે. આ ૩૨ એકમો પાસે રૂ. ૭૪ હજાર જેટલી માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ૧૭ અને કચ્છમાં ૦૯ એમ કુલ -૫૮ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

