પીકઅવર્સ દરમ્યાન ટ્રાફિક જામ રહેતા નોકરીયાત વર્ગને હાલાકી
(પ્રતિનિધિ)હિંમતનગર, હિંમતનગરના પ્રવેશ દ્વારા સમાન તથા શામળાજીથી અમદાવાદ જતા રોડ પર આવેલ સહકારી જીન વિસ્તારમાં ઓવરબ્રિજ બન્યા બાદ ઘણી વખત સર્વિસ રોડ પર ટ્રાફિક જામને કારણે રોજબરોજ નોકરીયાત વર્ગને વાહન લઈને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે સોમવારે પણ આવી સમસ્યા ઉદ્ભવી હતી. જેને લઈને અડધો કલાકથી વધુ વાહન ચાલકો અટવાયા હતા.
સહકારી જીન વિસ્તારમાં થઈને રોજબરોજ ગામડાઓમાં રહેતા લોકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ વાહન લઈને સહકારી જીન વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પર થઈ શહેરમાં પ્રવેશે છે ત્યારે કેટલાક વાહન ચાલકોની ઉતાવળ અને સર્વિસ રોડ પર પાર્ક થતાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. જેથી આ વિસ્તારમાં જયારે પણ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે વાયુ અને અવાજનું પ્રદુષણ એકદમ વધી જાય છે.
રોજબરોજ આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ લોકોના મતે એવો છે કે વાહનચાલકો તથા સર્વિસ રોડ પર પાર્ક થતા વાહનો બીજાને અડચણરૂપ ન બને તે રીતે પાર્ક કરવામાં આવે તથા વાહનચાલકો ટ્રાફિકના નિયમો મુજબ પોતાનું વાહન હંકારે તો મોટાભાગની સમસ્યા આપો આપ ઉકેલાઈ જાય તેમ છે. પરંતુ તેના માટે વાહન ચાલકોમાં તૈયારી હોવી જરૂરી છે.
સોમવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયો હતો. કાંકરોલથી મોતીપુરા તરફ જતા સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સહકારી જીન ચાર રસ્તાથી અનંતેશ્વર મહાદેવ મંદિર સુધી પણ વાહનોની ભીડ જામી હતી. નેશનલ હાઈવે પર સહકારી જીન ચાર રસ્તે ઓવરબ્રિજ બન્યો તે પહેલા પણ ટ્રાફિક રહેતો હતો. હવે ઓવરબ્રિજ ચાલુ હોવા છતાં સર્વિસ રોડ પર ટ્રાફિક જામ રહે છે.
આવા સંજોગોમાં ઓવરબ્રિજ બનાવવાનો શો અર્થ તે સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે ૪૮ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, સર્વિસ રોડ પરની ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે.

