ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે પ્રતિબંધો અને દબાણ છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું પ્રશાસન વાતચીત માટે આજીજી કરી રહ્યા છે. સોમવારે રશિયા પહોંચેલા ઈરાનના વિદેશ મંત્રીએ જોકે સકારાત્મક સંકેત આપ્યો હતો કે તેહરાન યુએસની વિનંતી પર વિચાર કરી રહ્યું છે, જ્યારે ટ્રમ્પે ઈરાનને ફોન કરવાની ઓફર કરી હતી. રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનનું સમર્થન મેળવ્યા પછી, અરાઘચીએ કહ્યું કે ટ્રમ્પ મંત્રણા માટે વિનંતી કરી રહ્યા છે કારણ કે અમેરિકા તેના કોઈપણ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શક્યું નથી.
ઈરાનના વિદેશ મંત્રીનું આ નિવેદન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ઉકેલ માટે તેહરાન અને વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની શાંતિ મંત્રણાને લઈને અનિશ્ચિતતા વચ્ચે આવ્યું છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન અને પાકિસ્તાનની મુલાકાત બાદ સોમવારે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા હતા જ્યાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
રશિયાએ ઈરાનના વખાણ કર્યા
‘રશિયન ન્યૂઝ એજન્સી તાસ’ના સમાચાર અનુસાર, પુતિને સંપ્રભુતા માટે બહાદુરીથી લડવા માટે ઈરાનના લોકોની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે રશિયા ઈરાન અને આ ક્ષેત્રના અન્ય દેશોના હિતમાં પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. બીજી તરફ ઈરાને પણ અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ ખતમ કરવા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઈરાનની તાજેતરની દરખાસ્તમાં તેના પરમાણુ કાર્યક્રમ પરની વાટાઘાટો ભવિષ્ય સુધી મુલતવી રાખવાની હાકલ કરવામાં આવી છે અને તેના બદલે, સોદા હેઠળ, તેહરાન અમેરિકા દ્વારા ઈરાની બંદરો પરનો નાકાબંધી હટાવવા અને લાંબા ગાળાના અથવા કાયમી યુદ્ધવિરામનો અમલ કરવાના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટની તેની નાકાબંધી સમાપ્ત કરશે. આ માહિતી દરખાસ્તથી પરિચિત બે પ્રાદેશિક અધિકારીઓએ આપી હતી.
વાટાઘાટો ફરી શરૂ થવાની કોઈ શક્યતા નથી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકન વાટાઘાટકારો હવે ઈરાન સાથે વાતચીત માટે ઈસ્લામાબાદ નહીં જાય. ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે યુએસ અને ઈરાનના અધિકારીઓ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ફોન પર વાત કરી શકે છે. પાકિસ્તાન ઇસ્લામાબાદમાં બંને પક્ષોને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ સપ્તાહના અંતમાં તેણે તમામ ચેકપોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓને હટાવી દીધી હતી જે વાટાઘાટોની અપેક્ષાએ મૂકવામાં આવી હતી. આ સૂચવે છે કે હાલમાં મંત્રણા ફરી શરૂ થવાની કોઈ શક્યતા નથી.

