ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લેતા સમાન નાગરિક સંહિતા બિલ બહુમતીના આધારે પસાર કરવામાં આવ્યું છે. બપોરે ૩ વાગ્યે રજૂ થયેલા આ બિલ પર ગૃહમાં આશરે ૭.૩૦ કલાક સુધી લાંબી અને ગહન ચર્ચા ચાલી હતી.
અંતે રાત્રે ૧૦.૩૭ કલાકે આ બિલને સત્તાવાર રીતે પસાર જાહેર કરવામાં આવ્યું હતું. યુસીસી બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ બિલને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે પ્રવર્ત સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી.
જો કે, સરકારે આ પ્રસ્તાવ નકારતા અંતિમ મતદાન સમયે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ બિલ પસાર થતા હવે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વિષયો પર તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ સાથે જ યુસીસી બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય બની ગયું છે.
અગાઉ ઉત્તરાખંડમાં યુસીસી બિલ પસાર કરનાર પ્રથમ રાજ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત બિલ નંબર ૧૭ ઓફ ૨૦૨૬ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પ્રવચનમાં કહ્યું કે, સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં યુસીસી બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.SS1MS

