અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું રવિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓના પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ચાહકો આ યુવા હીરોને આવકારવા આવ્યા હતા. ભારતે શુક્રવારે ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની 80 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગની મદદથી નવ વિકેટે 411 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ઇંગ્લેન્ડને 40.2 ઓવરમાં 311 રનમાં આઉટ કરીને મોટી જીત નોંધાવી હતી. ભારતે આ પહેલા 2000, 2008, 2012, 2018 અને 2022માં આ ટુર્નામેન્ટ જીતી હતી.
કેપ્ટન મ્હાત્રે અને સ્ટાર ઓપનર સૂર્યવંશીએ મુંબઈ એરપોર્ટ પર દરેકનું ધ્યાન ખેંચ્યું જ્યાં ચાહકો અને પરિવારના સભ્યો તેમનું સ્વાગત કરવા રાહ જોઈ રહ્યા હતા. મ્હાત્રેનો આખો પરિવાર તેના માતા-પિતા, કાકી અને ભાઈ-ભાભી સહિત હાજર હતો. મ્હાત્રેએ ફાઇનલમાં 51 બોલમાં 53 રન બનાવ્યા હતા. મ્હાત્રેના પિતા યોગેશ કમલાકર મ્હાત્રેએ જણાવ્યું હતું કે, “અમારી ખુશી માટે અમારી પાસે કોઈ શબ્દો નથી કારણ કે તે આટલા વર્ષોથી જે મહેનત કરી રહ્યો હતો તેનું આજે ફળ મળ્યું છે.” ”
મ્હાત્રેની માતાએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે તે પોતાના દેશમાં વર્લ્ડ કપ લાવી રહ્યો છે. તે નાનપણથી જ ક્રિકેટનો શોખીન છે અને તેણે બાળપણથી કરેલી મહેનતનું આજે ફળ મળ્યું છે. જ્યારે અમે ઘરે પહોંચીશું ત્યારે અમે ઉજવણી કરીશું.” અત્યારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે BCCI ટીમના સન્માન સમારોહનું આયોજન કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ ખેલાડીઓ મુંબઈથી તેમના ઘરે જશે અને બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે સન્માન સમારોહ માટે ભેગા થશે. ભારતના પ્રદર્શનની ખાસ વાત એ હતી કે તે ટુર્નામેન્ટમાં અજેય રહ્યું હતું. બીસીસીઆઈએ ટીમને 7.5 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. હૃષિકેશ કાનિટકરના કોચવાળી ટીમે સુપર સિક્સ સ્ટેજમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પણ હરાવ્યું હતું.

