વિરાટ કોહલીએ રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. તેણે ઐતિહાસિક સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીની ODI કરિયરની આ 52મી સદી હતી, તેણે હવે એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પહેલા તેના બેટથી અને બાદમાં મેચ જીત્યા બાદ તેની રજૂઆતમાં તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન વિરાટે BCCI અને ગૌતમ ગંભીરને પણ આડે હાથ લીધા હતા.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું દબાણ છે. આ મામલે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન જેવા ખેલાડીઓને પણ તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો હતો. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા રણજી મેચ રમી હતી, જ્યારે રોહિત શર્મા પણ મુંબઈ તરફથી આ ટૂર્નામેન્ટ રમતા જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છેલ્લી ODI રમ્યા બાદ 30 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમી હતી. કોહલીના ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નહોતી. મેચ બાદ જ્યારે તેને તેની તૈયારીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે બીસીસીઆઈ અને ગૌતમ ગંભીર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે ક્યારેય વધારે તૈયારીમાં વિશ્વાસ નથી રાખતો.

