યુએઈના બંદર શહેર ફુજૈરાહમાં ઈરાનના હુમલામાં ઓછામાં ઓછા ત્રણ ભારતીયો પણ ઘાયલ થયા છે. ઘાયલ ભારતીયો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ સંકટના સમયમાં તેઓ UAEની સાથે છે. તમને જણાવી દઈએ કે આ હુમલો ફુજૈરાહમાં એક મોટા ઓઈલ પ્લાન્ટ પર થયો હતો. UAEએ આ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘હું UAE પર હુમલાની સખત નિંદા કરું છું, જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે.
તેમણે કહ્યું, ‘ભારત UAE સાથે સંપૂર્ણ રીતે એકજૂટ રહે છે અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે.’ વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ‘પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાની નેવિગેશનની ખાતરી કરવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’ ફુજૈરાહ શહેર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ છે.
હોર્મુઝમાં સંઘર્ષ વધી રહ્યો છે
વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસનું પરિવહન હોર્મુઝની સામુદ્રધુની દ્વારા થાય છે, જે બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં એક મુખ્ય મુદ્દો છે. સંઘર્ષે સાંકડા જળમાર્ગ દ્વારા શિપિંગ ટ્રાફિકને ગંભીર રીતે વિક્ષેપિત કર્યો છે, જેના કારણે ઘણા દેશોમાં તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને ઊર્જાની તંગી છે. હોર્મુઝમાં પણ તણાવ વધી રહ્યો છે. અમેરિકાનો દાવો છે કે તેની નૌકાદળે હોર્મજુમાંથી બે વેપારી જહાજો પસાર કર્યા છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. ઈરાને અમેરિકન જહાજને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો, જેને અમેરિકાએ ફગાવી દીધો છે.
UAE સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઈરાન તરફથી છોડવામાં આવેલી 12 બેલિસ્ટિક મિસાઈલો, ત્રણ ક્રૂઝ મિસાઈલ અને ચાર ડ્રોનને અટકાવ્યા છે. મંત્રાલયે પુષ્ટિ કરી કે તે ‘કોઈપણ ખતરાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશની સુરક્ષાને નબળો પાડવાના હેતુથી કોઈપણ પ્રયાસોનો મજબૂતપણે સામનો કરશે.’

