વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં:-જળ સંપત્તિ મંત્રી
વડોદરા, રાજ્યમાં સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે.
આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, આ વિયરની લંબાઈ ૬૭ મીટર અને ઉંચાઈ ૧૧ મીટરની રહેશે. વિયર તૈયાર થવાથી તેના પાછળના ભાગે ૧૪ કિલોમીટર સુધી પાણી ભરાવાથી વડોદરા, ખેડા અને આણંદ જિલ્લામાં જળસ્તર ઉંચા આવશે અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.
નદી પર બાંધવામાં આવતા વિયર અને ડેમ બંને જળ વ્યવસ્થાપન માટેના મહત્વના માળખાઓ છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને કદમાં જમીન-આસમાનનો તફાવત હોય છે. વિયર એ સામાન્ય રીતે નદીની આડે બાંધવામાં આવતી ઓછી ઊંચાઈની દીવાલ છે, જેનો મુખ્ય હેતુ પાણીના સ્તરને માત્ર એટલું ઊંચું લાવવાનો હોય છે કે જેથી પાણીને નજીકની નહેરો કે સિંચાઈ યોજનાઓ તરફ વાળી શકાય;
વિયરની ખાસિયત એ છે કે વધારાનું પાણી તેની ઉપરથી સતત વહી શકે છે. બીજી તરફ, ડેમ એ એક વિશાળ અને અત્યંત ઊંચું માળખું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નદીના પ્રવાહને રોકીને મોટા જળાશયનું નિર્માણ કરવાનો હોય છે. ડેમમાં લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે, જેનો ઉપયોગ વીજળી ઉત્પાદન (હાઈડ્રોપાવર), પીવાના પાણી અને મોટા પાયે ખેતી માટે થાય છે. ટૂંકમાં કહીએ તો, વિયર પાણીના પ્રવાહને ડાયવર્ટ કરવાનું કામ કરે છે, જ્યારે ડેમ પાણીનો સંગ્રહ કરવાનું કામ કરે છે.

