રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધને સમાપ્ત કરવા માટે પ્રસ્તાવિત શાંતિ મંત્રણા ફ્લોરિડામાં ‘રચનાત્મક’ રીતે આગળ વધી રહી છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે સંબંધિત પક્ષો વચ્ચેની વાતચીત ઝડપથી આગળ વધી રહી છે. આ વાટાઘાટો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મહિનાઓ સુધી ચાલેલા શાંતિ પ્રયાસોનો એક ભાગ છે, જેમાં આ સપ્તાહની શરૂઆતમાં બર્લિનમાં યુક્રેનિયન અને યુરોપિયન અધિકારીઓ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે.
રશિયન રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી અનુસાર, રશિયન રાજદૂત કિરીલ દિમિત્રીવે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે ચર્ચા રચનાત્મક રીતે આગળ વધી રહી છે. આ આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે. સમાચાર અનુસાર, દિમિત્રીવ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરને મિયામીમાં મળ્યા હતા.
તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિએ રવિવારે ટેલિગ્રામ પર લખ્યું કે રાજદ્વારી પ્રયાસો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે અને ફ્લોરિડામાં અમારી ટીમ અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે કામ કરી રહી છે. ઝેલેન્સકીના આ નિવેદન પરથી લાગે છે કે હવે તે નરમ પડ્યો છે. અગાઉ શુક્રવારે, યુક્રેનના મુખ્ય વાટાઘાટકારે કહ્યું હતું કે યુએસમાં તેમના પ્રતિનિધિમંડળે અમેરિકન અને યુરોપિયન પક્ષો સાથે અલગ-અલગ બેઠકો પૂર્ણ કરી છે.
ટ્રમ્પે યુદ્ધને સમાપ્ત કરવા માટે એક વ્યાપક રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ તેમના પ્રયત્નોને રશિયા અને યુક્રેનની વિરોધાભાસી માંગનો સામનો કરવો પડે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સંકેત આપ્યો છે કે તેઓ યુક્રેન પરની તેમની માંગણીઓથી પીછેહઠ કરશે નહીં, કારણ કે ભારે નુકસાન છતાં રશિયન દળો ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં આગળ વધી રહ્યા છે. શુક્રવારે, પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો યુક્રેન શાંતિ વાટાઘાટોમાં રશિયાની શરતોને સ્વીકારશે નહીં, તો ક્રેમલિન તેના લશ્કરી લક્ષ્યોને પ્રાપ્ત કરશે.
બીજી તરફ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે રવિવારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મંત્રણા કરવાની પુતિનની ઇચ્છાને આવકારી હતી અને કહ્યું હતું કે તે ‘આગામી દિવસોમાં’ આગળના પગલાં અંગે નિર્ણય લેશે. અગાઉ એવા અહેવાલ હતા કે જો પરસ્પર રાજકીય ઇચ્છાશક્તિ હોય તો પુતિન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાતચીત માટે તૈયાર છે. મેક્રોનના કાર્યાલયે જણાવ્યું છે કે કોઈપણ વાટાઘાટોનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અમારા યુરોપિયન ભાગીદારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સાથે યુક્રેન અને યુરોપ માટે નક્કર અને કાયમી શાંતિમાં યોગદાન આપવાનો રહેશે.

