નવી દિલ્હી
ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષ પવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન સમારોહ શનિવારે (3 જૂન) મુંબઈમાં યોજાયો હતો. ઋતુરાજે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગાયકવાડ આ સમયે લંડનમાં ભારતીય ટીમ સાથે હોત પરંતુ લગ્નની તારીખ ફાઇનલ થવાના કારણે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તેમને સ્ટેન્ડબાય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. ગાયકવાડ IPLમાં પાંચમી ટ્રોફી જીતનારી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો પણ ભાગ હતો. ગાયકવાડે IPL 2023માં 590 રન બનાવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડની મંગેતર ઉત્કર્ષ પવાર પણ ક્રિકેટર છે. તે મહારાષ્ટ્ર માટે ક્રિકેટ રમે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ જીત્યા બાદ ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષ ટ્રોફી સાથે ફોટો પડાવતા હતા. ઉત્કર્ષ પવાર જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથની મધ્યમ ગતિની બોલિંગ પણ કરે છે.13 ઓક્ટોબર 1998ના રોજ જન્મેલી ઉત્કર્ષ બાળપણથી જ રમતગમતમાં સક્રિય હતી. તેણે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ઋતુરાજ ગાયકવાડે 2021માં જોરદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેણે IPL 2021માં 16 મેચમાં 635 રન બનાવ્યા અને આ વખતે IPL 2023માં તેણે 16 મેચમાં 590 રન બનાવ્યા.