અમદાવાદ-મહેસાણા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કરથી ત્રણ મજૂરોના મોત થયા છે. હવે કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટલ પાસે ત્રણ મજૂરો રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરતાં કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.