રાજ્ય સરકારે એક વર્ષમાં DGPની દરખાસ્ત સ્વીકારી, અધિકારીઓ-કર્મચારીઓને મળશે લાભ
રાજ્યના ગૃહ વિભાગે ATSના અધિકારીઓ અને કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. ATSમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત કામ કરવા પ્રેરિત થાય અને કોઈપણ પડકારને પહોંચી વળવા તેઓનું મનોબળ સતત ઉંચુ રહે અને તેઓ પૂરતા ખંત અને ઉત્સાહથી પોતાનું કાર્ય અને ફરજ બજાવશે તેવી આશા સાથે આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના 6ઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે આપવામાં આવશે. પે બેન્ડ સહિત પગારના 45 ટકા ભથ્થું આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગે એટીએસ માટે ઉચ્ચ જોખમ ભથ્થાને મંજૂરી આપી છે. ATS અધિકારીઓ અને કર્મચારીઓને 45 ટકા ઉચ્ચ જોખમ ભથ્થું અને 6ઠ્ઠા પગાર પંચ દ્વારા મંજૂર કરાયેલા ગ્રેડ પે અને પે બેન્ડ સહિત પગારના 45 ટકા ભથ્થા આપવામાં આવશે. એવી માહિતી આપવામાં આવી છે કે હાઈ રિસ્ક એલાયન્સ ફક્ત તે જ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે જેઓ આતંકવાદ વિરોધી ટુકડીમાં સેવા આપવા માટે નિર્ધારિત શરતોને પૂર્ણ કરે છે.
રાજ્યમાં આતંકવાદી પ્રવૃતિઓને રોકવા માટે વર્ષ 1992માં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. જે રાજ્યમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ, નકલી નોટો, નાર્કોટિક્સ અને સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે કામ કરે છે.