ભૂજઃ દિવાળીના તહેવારોમાં ઘોરડો, ધોળાવીરા, સહિતના પ્રવાસન સ્થળોએ પ્રર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણાબધા પ્રવાસીઓએ સફેદ રણમાં નૂતન વર્ષનો મજારો માણ્યો હતો. કચ્છના લોકોમાં પણ બેસતા વર્ષે દેવ-દર્શનનું મહાત્મ્ય હોવાથી તમામ મંદિરોમાં સવારથી લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં માતાના મઢ તરીકે જાણીતા આશાપુરાના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને તેથી મઢ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
કચ્છની કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે બસતા વર્ષે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડતા બસ સ્ટેશનથી નિજ મંદિર સુધીના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. પાર્કિંગ પ્લોટમાં વાહનોની આવાગમનથી ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી. સ્થાનિક લોકો સાથે સમગ્ર રાજ્ય અને દેશમાંથી ઉમટેલા શ્રદ્ધાળુઓને કારણે માતાના મઢમાં જનસાગર ઉમટી પડયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. માતાનામઢ જાગીર ટ્રસ્ટના સંચાલન હેઠળ ચાલતા ભોજનાલયમાં ભાવિકોએ પ્રસાદ આરોગ્ય હતો.
કચ્છના છેવાડે આવેલા સરહદી લખપત તાલુકાના વડા મથક દયાપર નજીકના માતાના મઢ ખાતે વિક્રમ સવંતના નવા વર્ષે દેશ દેશાવરથી માઇ ભક્તો આઈશ્રી આશાપુરા માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ નિજ મંદિરે આવતો શરૂ થઈ ગયો હતો અને બપોર સુધીમાં અંદાજિત 50,000 થી વધુ લોકો માં આશાપુરાના દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા. માતાના મઢના રસ્તાઓ પર હકડે ઢઢ જનમેદનીથી ભારે ટ્રાફિક સર્જાયો હતો. લોકોના અભૂતપૂર્વક ઘસારાથી માતાના મઢ જાણે જનસાગરમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.