અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા વધુ વધે છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો લગભગ 40 ટકા હતો પરંતુ આજે તે ઘટીને માત્ર 3 ટકા થયો છે. ગુજરાતના શિક્ષકોના સહકારથી જ આ શક્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે શિક્ષકો સામે સંસાધનોનો પડકાર દૂર થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓની આજની પેઢીની જિજ્ઞાસા શિક્ષકો માટે પડકાર બની ગઈ છે. આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે, તેઓ નિર્ભય છે. તેમની જિજ્ઞાસા શિક્ષકોને પડકાર આપે છે.
ગુજરાતની મુલાકાતમાં પીએમ મોદી ગુજરાતમાં 4400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 19,000 લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ કુલ રૂ. 1,950 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની મુલાકાત દરમિયાન, પીએમ મોદી ત્યાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરશે.