નવીદિલ્હી,
VVPAT વેરિફિકેશન કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. VVPAT કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ અને કોઈને એવું ન લાગવું જોઈએ કે જે થવું જોઈએ તે થયું નથી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે, ‘કોર્ટ માને છે કે આ એક ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પવિત્રતા હોવી જોઈએ. આ માટે જે જરૂરી પગલાં લેવા જરૂરી હતા તે લેવામાં આવ્યા ન હોવાની કોઈને પણ આશંકા ન હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને પૂછ્યું કે, ઈવીએમ સાથે છેડછાડ ન થાય તે માટે તમારી તરફથી કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે? અરજદારો દ્વારા સંસદીય સ્થાયી સમિતિના અહેવાલને પણ ટાંકવામાં આવ્યો છે, મહેરબાની કરીને તેના પર તમારું વલણ સ્પષ્ટ કરો. આ પછી ચૂંટણી પંચના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં EVM સંબંધિત માહિતી આપતા કહ્યું કે, ‘EVM સિસ્ટમમાં ત્રણ યુનિટ છે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને ત્રીજું VVPAT. બેલેટ યુનિટ સિમ્બોલને દબાવવા માટે છે, કંટ્રોલ યુનિટ ડેટા સ્ટોર કરે છે અને VVPAT ચકાસણી માટે છે.
કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કેરળના કાસરગોડમાં મોક વોટિંગ દરમિયાન ઈવીએમમાં જોવા મળેલી ખામીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે, મોક વોટિંગ દરમિયાન 4 EVM અને VVPAT ભાજપની તરફેણમાં એક વધારાનો વોટ નોંધી રહ્યા હતા. કોર્ટે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વકીલ મનિન્દર સિંહને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું. ત્યાં કોઈ ભૂલો જોવા મળે છે કે કેમ તે જુઓ. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું પ્રોગ્રામ મેમરીમાં કોઈ ચેડા થઈ શકે છે? ચૂંટણી પંચે કહ્યું કે, તેમાં ફેરફાર કરી શકાય નહીં. આ એક ફર્મવેર છે. તે સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે છે. આ બિલકુલ બદલી શકાતું નથી. પ્રથમ રેન્ડમ EVM પસંદ કર્યા પછી, મશીનો વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં જાય છે અને રાજકીય પક્ષોની હાજરીમાં લોક કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, જ્યારે તમે ઈવીએમ મોકલો છો, ત્યારે શું ઉમેદવારોને ટેસ્ટ ચેક કરવાની છૂટ છે? તેના પર ચૂંટણી પંચે કહ્યું કે, મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખતા પહેલા મોક પોલ કરાવવામાં આવે છે. ઉમેદવારોને રેન્ડમ મશીનો લેવાની અને તેનું પરીક્ષણ કરવા માટે મતદાન કરવાની છૂટ છે.