(પ્રતિનિધિ) ડાકોર તા. 23
આજે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ ડાકોરના ઠાકોરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીજીને વિવિધ આભૂષણોથી સુશોભિત મોર મુગટ પહેરાવવામાં આવ્યો હતો. આજે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતિના શુભ અવસરે ઠાકોરજીના દિવ્ય દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. આ પ્રસંગે મંદિર મંડળ જય રણછોડના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી આવતા સંઘોએ મંદિરના શિખર પર ચડીને દર્શન કરવાનો લ્હાવો લીધો હતો. આજે સવારથી રાત્રી સુધી દર્શનાર્થે લાખો ભાવિકોએ મંદિર પરિસરમાં શ્રીજીના અમૂલ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.