તાજેતરમાં મણિપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓના કપડાં ઉતારવા, બળાત્કાર અને હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્યારે ડીસામાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસીઓ પરના આવા જઘન્ય કૃત્યને બંધ કરવા અને આરોપીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે નાયબ કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. બે આદિવાસી મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે. ત્યારે ડીસામાં પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન વતી ડીસા નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે, આદિવાસી સમાજ પર વર્ષોથી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે. આવા જઘન્ય કૃત્યો જે અગાઉ મુઘલો કે અંગ્રેજોના શાસનમાં પણ નહોતા થયા તે હવે થયા છે. હાલમાં જ્યારે વિદેશમાં ભારતની સારી છબી બની રહી છે ત્યારે આવી અમાનવીય ઘટનાઓ પણ દેશને કલંકિત કરી રહી છે. ત્યારે સરકાર પાસે ગુનેગારોને તાત્કાલિક પકડીને સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠનના પ્રમુખ રમેશ માજીરાણાએ જણાવ્યું હતું કે સરકારે કડક કાયદો બનાવી આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ હોવાથી આદિવાસી સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી હતી. તાત્કાલિક લાદવામાં આવે.