(એજન્સી)જામનગર, જામનગરમાં ધો.૧માં ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઇના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દીવસ છે. જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં આરટીઇના કુલ ૭૨૨૭ ફોર્મ ભરાયા છે. જેમાંથી ૨૪૩૭ ફોર્મ નામંજૂર થયા છે. રીજેકટ થયેલા ફોર્મમાં ખૂટતા દસ્તાવેજો ૨૭ થી ૨૯ એપ્રિલ સુધી અપલોડ કરી શકાશે. મેરીટ અને પસંદગીના આધારે બાળકોને શાળાની ફાળવણી કરાશે. રી આરટીઇના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી ૪ મેના જાહેર થશે.
જામનગરમાં આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ ફરજીયાત એજયુકેશન એકટ-૨૦૦૯ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી આવતા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ છે.
જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ૧૨૦ ખાનગી શાળાઓમાં આરટીઇની ૮૦૮ બેઠક માટે ૨૨ એપ્રિલ સુધીમાં ૪૪૫૨ ફોર્મ ભરાયા હતાં. જયારે જિલ્લા પંચાયત હસ્તકની ૨૧૩ ખાનગી શાળામાં આરટીઇની ૧૦૯૫ બેઠક માટે ૨૭૭૫ ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું છે.આમ કુલ આરટીઇની ૧૯૦૩ બેઠક માટે અત્યાર સુધીમાં ૭૨૨૭ ફોર્મ ભરાયા છે.
ફોર્મની ચકાસણી દરમ્યાન જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ખાનગી શાળામાં ભરાયેલા ૪૪૫૨ ફોર્મ પૈકી ૧૪૩૭ અને જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં ભરાયેલા ૨૭૭૫ પૈકી ૧૦૦૦ ફોર્મ નામંજૂર થયા હતાં.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કુલ ૩૦૧૫ અને જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં કુલ ૧૭૭૧ ફોર્મ મળી કુલ ૪૭૮૬ ફોર્મ મંજૂર થયા છે. જો કે, ખાનગી શાળાઓમાં ધો.૧ માં આરટીઇ હેઠળ નિઃશુલ્ક પ્રવેશ મેળવવા વાલીઓનો ભારે ધસારો છે ત્યારે આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાના પોર્ટલમાં ધાંધિયાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે.

