લોહી કરતા ગાઢ પ્રેમ અને લાગણીનો સંબંધ -નાનાં બાળકો માટે ઘોડિયાં સાથેનું ‘ઘોડિયાઘર’ બનાવ્યું
વડનગર, કહેવાય છે કે દીકરી તો સાપનો ભારો નહીં, પણ તુલસીનો ક્યારો છે અને જયારે આ ક્યારાને પંખી બની ઉડવાની વેળા આવે ત્યારે પાંખો આપનાર જો સાક્ષાત ‘ભાઈ’બનીને આવે તો એ દ્રશ્ય દેવોને પણ જોવું ગમે. વડનગરના સુલતાનપુર ગામની પાવન ધરા પર માનવતા અને સેવાના અનોખા સંગમ સમાન એક એવો પ્રસંગ જેણે આધુનિક યુગમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની વ્યાખ્યા બદલી નાખી છે. Mass marriage at Sultanpur Vadnagar organized by Mahakali Foundation.
સમાજનું ઋણ ઉતારવાના ઉમદા ભાવ સાથે, ઠાકોર સમાજના ત્રણ નવયુવાનોએ પ૧ દીકરીઓના ભાઈ બની એક માંડવે લગ્ન કરાવ્યા છે. લગ્નનો તમામ ખર્ચ તેઓ પોતે ઉઠાવશે. એક પણ રૂપિયો લીધા વિના લોહીના સગપણ વિના પણ લોહી કરતાય વધુ ગાઢ એવા ‘પ્રેમ’ના સંબંધે આ યુવાનોએ પ૧ બહેનોના ઘર વસાવ્યા અને સમાજ સામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
મહાકાલી ફાઉન્ડેશનના ત્રણ યુવાનો ઠાકોર કિશનકુમાર દીવાનજી, ઠાકોર જીગરજી ઈશ્વરજી અને ઠાકોર દિનેશજી મફાજીએ સાચી સમાજ સેવા કરી ચોફેર માનવતા મહેકાવી છે. પ૧ દીકરીઓને જયારે ગામમાંથી વળાવી ત્યારે આંસુની નદીઓ વહી હોય તેવા દૃશ્ય ખડા થયા હતાં.
આ આયોજનની સૌથી વિશેષ બાબત અહીં તૈયાર કરવામાં આવેલું ખાસ ‘ઘોડિયાઘર’ હતું. પ્રસંગમાં આવતા મહેમાનોના નાના બાળકોને સાચવવા માટે ૪૦થી વધુ ઘોડિયા મૂકવામાં આવ્યા હતા. જેથી માતાઓ નિરાંતે લગ્ન વિધિનો આનંદ માણી શકે. આ ઉપરાંત પીવાના પાણી માટે અલગથી પ્લાન્ટ અને ૧પ વીઘામાં વિશાળ પા‹કગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
લગ્નોત્સવમાં અંદાજે ૩૦ થી ૩પ હજાર લોકોએ પ્રસાદ લીધો હતો. આટલી વિશાળ સંખ્યામાં જનમેદની હોવા છતાં ૭૦૦ જેટલા સ્વયંસેવકોની ખડેપગે સેવાથી સમગ્ર કાર્યક્રમમાં ક્યાંય અડચણ જોવા મળી ન હતી. સંતો, રાજકીય અગ્રણીઓએ ખાસ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં.

